સાબરકાંઠામાં સદી વટાવી ચુકેલા ૯૫ મતદારો, ઈડરમાં સૌથી વધુ ૩૬

689

છેલ્લા એક દાયકાથી મહત્તમ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યા છે. કેટલાક જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાન વધે અને મતદાન માટે સૌ કોઇમાં ઇચ્છાશક્તિ પ્રબળ બને તે માટે આઇકોન પણ જાહેર કરવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ભલે આવુ કંઇ કરવામાં આવ્યું ન હોય પરંતુ જિલ્લાના સદી વટાવી ચૂકેલા મતદારો અઘોષિત આઇકોન જ છે મતદાન માટેની તેમની પ્રબળ ઇચ્છાશક્તિ કાબિલે-દાદ છે. મતદાન કરો તો સારો માણસ ચૂંટાયઃ સાબરકાંઠા જિલ્લામાં ૯૫ જેટલા શતાયુ મતદાર છે. હિંમતનગર તાલુકાના હાંસલપુર ગામના ૧૦૨ વર્ષના શાંતાબેન પ્રતાપજી પ્રજાપતિના અવાજમાં અનુભવનો રણકો સંભળાય છે. ઉમરની સદી વટાવી ચૂકેલ શાંતાબા કહે છે કે ભઇ મેં તો બધી ચૂંટણીમાં મતદાન કર્યુ છે. અત્યારે લોકોમાં આળસ જોવા મળે છે જે સારુ નથી. પથારીમાં બેઠા પણ શાંતાબા લોકોની મતદાન કરવાની આળસ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હિંમતનગર શહેરના મહેતાપુરામાં ત્રિવેણી વિદ્યાલય નજીક રહેતા ૧૦૩ વર્ષના રેવાબેન રવીશંકર રાવલ કહે છે કે મતદાન કરીએ તો સારો માણસ ચૂંટાય. હું મતદાન કરવા આજે પણ સક્ષમ છુ અને મતદાન અવશ્ય કરીશ મતદાન ન કરે તેને ટીકા કરવાનો કોઇ અધિકાર નથી. વીરપુર ગામના ૧૦૪ વર્ષના આશાબેન ઉસ્માનભાઇ ખણુશીયા પણ મતદાન માટે આગ્રહ રાખે છે અને કહે છે મારા પરીવારને પણ મતદાન માટે આગ્રહ કરુ છુ તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે.

Previous articleપાટનગરમાં ગરમી આકરી બનીઃતાપમાન ૪૧ ડિગ્રીએ
Next articleજિલ્લાની ૬૨૪ સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરાયો