ગુજરાતમાં પીવાના પાણીનો પુરતો જથ્થો છે : પટેલ

613

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ૬ કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરુ પાડવું તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીનો જથ્થો રાજ્યના નાગરિકોને પહોંચે તે માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે આવનાર ઉનાળાના સમયમાં નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે. ઉનાળા દરમ્યાન રાજ્યના નાગરિકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા ડેમમાં પુરતું પાણી ઉપલબ્ધ છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં દરરોજ ૩૭૫ કરોડ લીટર નર્મદાનું પાણી પીવાના ઉપયોગ માટે આપવામાં આવે છે જે ગયા વર્ષ કરતાં દરરોજનું ૫૦ કરોડ લીટર વધારે છે. તે પૈકી ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લીટર પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લીટર જેટલું વધારે છે. આમ, ગુજરાતમાં નર્મદા આધારીત ૮૯૧૧ ગામો, ૧૬૫ શહેરો અને ૬ મહાનગરપાલિકાઓમાં નર્મદાના પાણી આપવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે, ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જીલ્લાઓમાં ઓછો વરસાદ થયેલ. જેથી પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જીલ્લાઓના ડેમોમાં ઓછા પાણીની આવક થયેલ. પરિણામે આ જીલ્લાઓમાં પાતાળ કુવાઓ પણ ઓછા રિચાર્જ થયા છે.

ઉપરોક્ત કારણોસર રાજ્ય સરકારે પીવાના પાણી માટે નર્મદા નહેરની માળિયા અને વલ્લભીપુર બ્રાંચ કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જે મૂજબ હાલ પણ બન્ને બ્રાંચ કેનાલો ચાલુ છે જેમાંથી પુરતા પ્રમાણમાં નર્મદાનું પાણી પીવા માટે ઉપલબ્ધ છે.

પોરબંદર જીલ્લાના ફોદારા ડેમમાં હાલ નહિવત પાણી છે. આ ડેમમાંથી પોરબંદર શહેરને અને જુથ યોજનાઓને ૨ કરોડ લીટર જથ્થો પુરો પાડવામાં આવે છે. આ ઘટંને પુરી કરવા હેતુસર રાજ્ય સરકારે ૧૨૦ કરોડની ૬૪ કિ.મી. લાંબી ઉપલેટાથી રાણાવાવ પાઇપલાઇનના કામો મંજૂર કરેલ. આ કામો યુધ્ધના ધોરણે પુરા કરવામાં આવેલ અને પાણી પુરવઠો રાણાવાવ સુધી પહોંચાડવામાં આવેલ છે. આગામી બે દિવસમાં આનુશાંગિક કામો પુરા કરી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પોરબંદરને પાણી પુરુ પાડવામાં આવશે. પટેલે કહ્યું કે, અગાઉના વર્ષોમાં દેવભુમિદ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારો માટે કાલાવડ પાસેના પાંચ દેવડા હેડવર્ક્સથી ૭૦ એમ.એલ.ડી. જેટલુ પાણી પુરુ પાડવામાં આવતું.. હાલ આ જથ્થામાં નોંધપાત્ર વધારો કરી ૧૩૦ એમ.એલ.ડી સુધી પાણી પુરુ પાડવામાં આવે છે. કચ્છ જીલ્લામાં ગત વર્ષે ૨૭ કરોડ લીટર પાણી નર્મદા તેમજ ટપ્પર ડેમ દ્વારા પુરુ પાડવામાં આવતું હતું જેની સામે હાલ ૩૨ કરોડ લીટરથી વધારે પાણી પુરું પાડવામાં આવે છે. ચાલુ વર્ષે અંજારથી ભૂજના કુકમા સુધી કચ્છ જીલ્લાની પાઇપલાઇનના કામો યુધ્ધના ધોરણે પૂર્ણ થયેલ છે. જેના દ્વારા ભૂજ, બન્ની, લખપત, અબડાસા વિસ્તારોમાં અત્યાર સુધી ૧૦ કરોડ લીટર પાણી આપવામાં આવતું હતું હવે તે વધીને ૧૩ કરોડ લીટર થયું છે. ગઢડા મુકામની પંપીંગ સ્ટેશનની ક્ષમતા વધારવા માટે નવા પંપો પણ કાર્યરત કરેલ છે, જેના દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરરોજ વધારાનું ૫ કરોડ લીટર પાણી આપવાનું શરૂ કર્યું છે. અમરેલી જીલ્લામાં પણ ચાવંડથી ૫ કરોડ લીટર પાણી અપાતું હતું જે વધારીને ૬ કરોડ લીટર કરાયુ છે.  નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પાટણ જીલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના વિસ્તારો માટે પાઇપલાનના કામો યુધ્ધના ધોરણે પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાથી રાધનપુર અને સાંતલપુર વિસ્તારના ગામો અને શહેરોની પીવાના પાણીની સમસ્યાઓનો કાયમી હલ થશે. રાજ્યમાં ૬૨ તાલુકાઓના ૨૫૮ ગામો અને ૨૬૩ ફળિયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરું પાડવામાં આવે છે. આવતાં દિવસોમાં આ સંખ્યામાં મહદઅંશે વધારો થવાની શક્યતા છે. આ વર્ષે નર્મદા નહેરથી જોડાયેલ હોય તેવા તથા “સૌની યોજના” મારફતે મચ્છુ-૨, મચ્છુ-૧, આજી-૧, ન્યારી-૧, આજી-૩, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં પાણી ભરેલ છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ટપ્પર, સુવઇ અને ફતેગઢમાં પાણી ભરવામાં આવેલ છે, જે આગામી ચોમાસા સુધી ચાલશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ૫૧ તાલુકાઓમાં અછત જાહેર કરેલ છે, જેના કામો પ્રગતિમાં છે પરંતું લોકસભાની ચુંટણીની આચારસંહિતા હોવાથી અમુક ગામોમાં બોરવેલ વગેરેના કામો હાથ પર લઇ શકાયેલ નથી. રાજ્ય સરકાર દ્વારા ઇલેક્શન કમિશનને આવા પ્રકારના કામો કરવા માટે અનુમતિ માંગેલ છે. ગાંધીનગર ખાતે પીવાના પાણીની ફરિયાદ નિવારણ માટે પાણી પુરવઠાની વડી કચેરીમાં ૧૯૧૬ નંબરની ટોલ – ફ્રી હેલ્પ લાઇન ૨૪ કલાક કાર્યરત છે. રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા વિનંતી કરાઇ છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો અંગે તેઓએ આ નંબર ઉપર ફરિયાદ નોંધાવે તો ઝડપથી નિરાકરણ લાવી શકાશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનાવડા ગામે ટીબી રીવ્યુ મીટીંગ યોજાઈ