ર૪ મે બાદ ગુજરાત સરકારમાં મોટા ફેરફારની શકયતાઓ : કેટલાંક મંત્રીઓના પત્તા કપાશે

702

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. વિધાનસભા કરતાં લોકસભામાં ભાજપ ગુજરાતમાં પોતાનો દબદબો જાળવવામાં સફળ રહ્યું ન હોવાનો રિપોર્ટ ગયો છે. ગાંધીનગરમાં છેલ્લાં દિવસ સુધી અમિત શાહે જાતે દોડાદોડી કરવી પડી હતી એ રંજ તેઓ ભૂલે તેવી સંભાવના ઓછી છે. ગાંધીનગરની બેઠકની સ્થિતિ જોઈ ભાજપ આકરા મૂડમાં છે પણ ચૂંટણીના પરિણામની રાહ જોવાઈ રહી છે. લોકસભાના પરિણામો બાદ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફેરફારો કરવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે. આ સાથે કેટલાક મંત્રીઓના પત્તાં પણ કપાય તેવી સંભાવના છે. જે મંત્રીના વિસ્તારમાં ભાજપ હારશે એ મંત્રીનું કદ આપોઆપ ઘટાડી દેવાશે. જોકે, રાજકીય વિશ્લેષકો આ બાબતને ગપગોળા ગણાવી રહ્યાં છે. જ્યાં સુધી દિલ્હીમાં મોદી સરકારની કેબિનેટ ન બને ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ જાતના ફેરફાર થાય તેવી સંભાવના ઘણી જ ઓછી છે. સરકાર પર પ્રેશર હોવા છતાં પણ મોદી અને અમિત શાહ હાલમાં ગુજરાત નહીં દિલ્હી માટે દોડાદોડી કરી રહ્યાં છે. સરકારમાં ફેરફાર થાય તો પણ હજુ ૬ મહિનાનો સમય લાગશે. હાલમાં ભાજપમાંથી જ આ બાબતોને હવા અપાઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, જો અને તો ની સ્થિતિનો સ્પષ્ટ ખુલાસો રિઝલ્ટ બાદ થઈ જશે. લોકસભામાં ભાજપને બહુમતી મળવામાં સમસ્યા આવી તો ગુજરાત ભાજપમાં ફેરફાર થઇ શકે છે પણ હાલમાં આ પ્રકારની કોઈ સ્થિતિ શક્ય નથી. ભાજપમાં મંત્રીપદની લાલસા ધરાવતા નેતાઓ આ પ્રકારની મીડિયામાં હવા ચલાવી પોતાનું રાજકીય કદ વધારવાની સાથે નડતાં નેતાઓની બાદબાકી કરવાની મોડસ ઓપરેન્ડી ચલાવી રહ્યાં છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાઃ ચૂડાસમા જ્યાંથી ચૂંટણી જીત્યા તે ધોળકા બેઠકની મતગણતરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટનો આદેશ ચૂડાસમાની અપેક્ષાથી વિપરિત આવે તો રાજીનામું આપવું પડે. આ સ્થિતિ વચ્ચે ભાજપ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ

દિલીપ ઠાકોરઃ પાટણ બેઠક પરથી પાર્ટીના આગ્રહ છતાં લોકસભાની ચૂંટણી લડવા નનૈયો ભણનારા દિલીપ ઠાકોરની એક્ઝિટ લગભગ પાક્કી મનાઇ રહી છે. ઠાકોર સમાજમાં ઘટતો દબદબો કારણ બની શકી છે. દિલીપ ઠાકોરનું ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ઘટ્યું હોવાનું આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે.

પરબત પટેલઃ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાથી પટેલ જીતી જ જશે તેવો વિશ્વાસ ભાજપને છે. આવાં સંજોગોમાં તેમણે મંત્રીપદ જતું કરી રાજીનામું આપવું જ રહ્યું. આ બેઠક પર શંકર ચૌધરીને સ્થાન મળે તેવી સંભાવના છે.

પરસોત્તમ સોલંકીઃ ભાજપ પાસે હવે કુંવરજી બાવળિયાનો મજબૂત વિકલ્પ મળી જતાં લગભગ નિષ્ક્રિય રહેતા પરસોત્તમ સોલંકીને હવે ભાજપ પડતાં મૂકશે. ભાજપ હવે કોળીના નામે કોઈ પણ બ્લેકમેઇલિંગ સહન કરવાના મૂડમાં નથી. બાવળિયાએ આ ચૂંટણીમાં કોળી સમાજના સર્વ સામાન્ય નેતા હોવાનું સાબિત કરી દીધું છે.

વાસણ આહિરઃ કચ્છના આ નેતાનું નામ કથિત રીતે મહિલા સાથેના સંબંધોમાં ઉછળતાં ભાજપે કે સરકારે અત્યાર સુધી મૌન સાધી રાખ્યું છે. પરંતુ આગામી મંત્રીમંડળના બદલાવ દરમિયાન પડતા મુકાવાની વકી છે. કારણ કે ભાજપ બદનામીનો કોઈ ડાગ સંગઠન પર કે સરકાર પર પડવા માગતી નથી.

Previous articleવારાણસીમાં મોદીને રેકોર્ડ મતથી જીતાડવા માટે પ્લાન
Next articleપૈસા પડાવી પતિએ પટ્ટાથી માર મરી કાઢી મૂકીઃ ફરિયાદ નોંધાઈ