નવી નંબર પ્લેટ લગાવી પરત ફરતા યુવાનને કાળ ભરખી ગયો

1044

અમીરગઢનો યુવક નવી બાઈક છોડાવી નંબર પ્લેટ લગાવી પાલનપુરથી ઘરે અમીરગઢ જઈ રહયો હતો ત્યારે પાલનપુરથી થોડે દૂર ટેન્કર સાથે ટકરાઈ જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

નેશનલ હાઇવે પર એક તરફનો માર્ગ બંધ કરી ડાયવર્ઝન અપાયું હોવાથી બંને તરફના વાહનો એક જ માર્ગ પર અવરજવર કરી રહ્યા હતા દરમિયાન આ અકસ્માત સર્જાતા મૃતક યુવાનના પરિવારમાં રોકકળ મચી હતી.

અમીરગઢ રહેતો અંદાજે ૨૩ વર્ષીય રાકેશ ભીખાલાલ પ્રજાપતિ મોબાઈલ પર નવી બાઈક માટેના નંબર પ્લેટ માટેનો મેસેજ આવતા તે પોતાની બાઇક લઇને પાલનપુર આરટીઓ કચેરી આવ્યો હતો અને નવી નંબર પ્લેટ લગાવ્યા બાદ પરત અમીરગઢ જઈ રહ્યો હતો. ત્યારે ફોરલેન હાઇવે પર નવો રસ્તો બનતા એક તરફની સાઇટ બંધ કરવામાં આવી હતી અને એક જ માર્ગ પર સમગ્ર વાહન વ્યવહાર અવર-જવર કરતા બાઇક સવાર સામેથી આવી રહેલા ટેન્કર સાથે અથડાઇ ગયો હતો. ઘટના સ્થળે જ યુવકના રામ રમી જતા ટોલનાકાની એમ્બ્યુલન્સમાં તેને પાલનપુરની સિવિલમાં ખસેડાયો હતો.

રાકેશના લગ્ન ૨૨ એપ્રિલે પાલનપુર થયા હતા. હજુ તો લગ્નની મહેંદી પણ સુકાઇ ન હતી ત્યાં યુવકના મોતની ઘટનાએ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. લગ્ન બાદ પરત પાલનપુર પિયર આવેલી મૃતકની પત્ની પર જાણે આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

 

Previous articleવર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડ ટીમમાં જોફ્રા આર્ચરને સામેલ કરેઃ ફ્લિન્ટોફ
Next articleપ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ, ૨ની ધરપકડ