MCIની મંજુરી નહિ છતાં વીએસમાંથી SVPમાં ડોક્ટરની ટ્રાન્સફર કરાઈ

485

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વીએસ હોસ્પિટલમાં બેડ ઘટાડવાનો મુદ્દો ગળાનું હાડકું બન્યો છે, ત્યારે વિપક્ષ નેતા દિનેશ શર્મા, બદરૂદ્દીન શેખ અને ઈમનરાન ખેડાવાલા(ધારાસભ્ય)એ વીએસ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વિપક્ષના નેતાઓએ મેયર અને ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આજથી લગભગ ૩ મહિના પહેલા આ વીએસ હોસ્પિટલમાં દર્દીઓ દવા માટે લાઈનોમાં ઉભા રહેતા હતા.જો કે સુપર સ્પેશિયાલિટી સારવાર બંધ કરતા વીએસ ખાલીખમ બની છે. તેમજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વીએસ હોસ્પિટલમાંથી એસવીપી હોસ્પિટલમાં ડોક્ટર ટ્રાન્સફર કરવા માટે જે મંજૂરી માગી હતી, તેને કાઉન્સિલ દ્વારા ના પાડવામાં આવી હોવા છતાં વીએસમાંથી એસવીપી હોસ્પિટલમાં ડોક્ટરના સ્ટાફને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેને લઈ વિપક્ષે આ મુદ્દે કોર્ટમાં પણ જવા તૈયારી બતાવી છે.

આ પહેલા રવિવારને રાત્રે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક દર્દીને ઈમરજન્સીમાં એસવીપી હોસ્પિટલમાં લાવવામાં આવે છે, જ્યાં સિક્યુરિટી ગાર્ડ બેડ ખાલી નથી તેમ કહી દરવાજેથી જ પાછા વળાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે દર્દીના સગા અંદર જઈને જુએ છે ત્યારે આઈસીયુ બેડ ખાલી નજરે પડે છે. આમ છતાં દર્દીને દાખલ કરવામાં આવતો નથી. જેને પગલે આજે એએમસીના વિરોધપક્ષના નેતા દિનેશ શર્મા અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો કે,૧૫૦૦ પથારી ધરાવતી એસવીપીમાં હાલ ૩૦૦ બેડ જ કાર્યરત છે, તેમજ રાત્રે ડોક્ટરો પણ હાજર રહેતા નથી. જેને લઈ હાલ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Previous articleવેરાવળમાં કેટીએમ દ્વારા રોમાંચક સ્ટંટ શો યોજાયો
Next articleશાહીબાગ વિસ્તારમાંથી પોલીસે ૧૦૦ કિલો પશુમાંસ ઝડપી પાડ્‌યું, ત્રણ આરોપીઓની ધરપકડ