મિનિ કુંભમેળામાં કૌભાંડ..!! સરકારે ૧૫ કરોડ ફાળવ્યા પણ ખર્ચ્યા માત્ર ૩.૬૧ કરોડ

608

જૂનાગઢની ગિરનાર તળેટીમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા મિનિ કુંભમાં પવિત્ર યાત્રાધામ બોર્ડે કરેલા ખર્ચ અંગે એક મસમોટું કૌભાંડ બહાર આવી રહ્યું છે. આ મિનિ કુંભમાં રાજ્ય સરકારે ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, પરંતુ આરટીઆઈમાં માત્ર ૩.૬૧ કરોડની જ ખર્ચની વિગતો બહાર આવી છે. ખાસ કરીને બોલિવૂડ સિંગર કૈલાસ ખેરને એક શોના રૂ. ૨૯.૫૦ લાખ તથા લેસર શો પાછળ ૮૦ લાખનો જંગી ખર્ચ બતાવવામાં આવ્યો છે. જ્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ પાછળ રૂ. ૬૩.૯૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.ગીરનાર ક્ષેત્રનાં કમંડળકુંડ અને દત્ત શિખરના મહંત સ્વામી મુક્તાનંદગીરી બાપુ ગુરૂશ્રી મહેશગીરી બાપુએ માગેલી આરટીઆઈમાં તંત્રએ આપેલા જવાબો ચોંકાવનારા છે. તેમણે આરોપો લગાવ્યા કે, આરટીઆઈના ખુલાસામાં પ્રવાસન વિભાગે જે આંકડા આપ્યા છે તે જ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. જેમાં પારાના રૂદ્રાક્ષના શિવલિંગ પાછળ ૫૧ લાખનું પેમેન્ટ કર્યું તે સરકારના નીતિ-નિયમોને નેવે મુકીને કરવામાં આવ્યું હતું, પાછળથી તેનો વિરોધ થતાં તેમાંથી ૧૫ લાખ જેવી રકમ પરત સરકારમાં જમા કરાવી હતી.

મેળાની ઈવેન્ટ મેનેજમેન્ટનો ખર્ચ અંદાજીત ૬૪ લાખ આકારવામાં આવ્યો છે. જ્યારે પાંચ દિવસ માટે સ્ટેજ ડોમ, મંડપનો ટેમ્પરરી સ્ટ્રક્ચર ખર્ચ ૮૭ લાખ આકારવામાં આવ્યો છે. તેની સાથે સાથે લાઈટ સાઉન્ડ ખર્ચ ૩૮ લાખ ૪૬ હજાર, શેરી નાટકોનો ૨ લાખ ૧૦ હજાર અને શિવભક્તિ, શિવ ઉપાસના, શિવલીલા કાર્યક્રમનો ખર્ચ ૨.૫૦ લાખ, કૈલાસ ખેરના અઢી કલાકના કાર્યક્રમના ૩૦ લાખ, કિર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના ડાયરાનો ખર્ચ ૮.૭૦ લાખ કરવામાં આવ્યો છે.

Previous articleવર્લ્ડ કપ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ઓવલમાં જંગ ખેલાશે
Next articleશ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય ગાંધીનગર ખાતે શિક્ષકો માટેનો તાલીમ કાર્યક્રમ સંપન્ન