જગન્નાથ પુરીના ગોવર્ધનપીઠના શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી ઘૂંટણના ઓપરેશન માટે છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં છે. શંકરાચાર્ય નિશ્ચલાનંદજી સરસ્વતિએ પ્રેસ કોન્ફરન્સમાં રામ મંદિર મુદ્દે જણાવ્યું હતું કે, ભગવાન રામના નામનો ઉપયોગ માત્ર વોટ માટે કરવામાં આવે છે. રામના નામે વોટ લઇને સત્તા ઉપર બેસી ગયા પછી રામનું નામ લેવાતું નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ રામ મંદિર માટે અમારી લડત ચાલુ છે અને જ્યાં સુધી રામ મંદિર બને નહીં, ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, દેશમાં સાચા શંકરાચાર્યોની કિંમત રહી નથી. આજના નેતાઓ શંકરાચાર્યોને પ્રચારક બનવા માટે દબાણ કરે છે. જો તેઓની વાત ન માનો તો યેનકેન પ્રકારે હેરાન કરે છે. સાચા શંકરાચાર્યોને માર્ગદર્શક રૂપમાં જોવાતા નથી. પરંતુ જે સરકારની જીહજુરી કરે છે, તેવા નકલી શંકરાચાર્યોની બોલબાલા છે.
ઘૂંટણની સર્જરી કરાયા બાદ વડોદરામાં રહેતા તેમના સત્સંગીઓને સત્સંગનો લાભ આપવા માટે શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી તા.૨૬ જુન સુધી રોકાયા છે. પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે, આજનું શિક્ષણ અર્થ વિનાનું અને ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધનું છે.