પાંચમો વિશ્વયોગ દિવસ : મહાત્મા મંદિર ખાતે ગાંધીજીના પોષાકમાં યોગ કાર્યક્રમ યોજાશે

617

ગાંધીનગર જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાથે દાંડી યાત્રામાં જોડાયા હતા. તેટલા જ વ્યક્તિઓ ગાંધીજીના પોષાકમાં મહાત્મા મંદિર ખાતે આવેલા બ્રિજ ઉપર યોગ કરશે. આ યોગનો કાર્યક્રમ સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ કાર્યક્રમ બાદ યોજાય તેવું આયોજન કરવા માટેનું સૂચન પણ કલેકટર એસ.કે.લાંગાએ કર્યું હતું.

ગાંધીનગર જિલ્લાના પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારું આયોજન માટે યોજાયેલ બેઠકમાં કલેકટર એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, યોગ દિવસ મહાત્મા મંદિર સાથે સાથે પ્રાચીન અડાલજની વાવ, મહુડી મંદિર, અક્ષરધામ મંદિર, ત્રિમંદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાને પણ સરિતા ઉધાન, સેકટર-૧ તળાવ, ઇન્દ્રોડા પાર્ક જેવા સ્થળોએ પણ અલગ થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું ઉમદા સૂચન કલેકટરે કર્યું હતું.

કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ૧૩૬૦ જેટલા સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાનાર છે. તેમજ આજદિન સુધીમાં કુલ ૩ લાખ ૬૩ હજાર જેટલા નાગરિકોના નામની નોંધણી કરવામાં આવી છે. તે વાતનો આનંદ વ્યકત કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારું આયોજનમાં કામ કરતાં સર્વે અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણ, નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા, કલોલ પ્રાંત અધિકારી નેહાકુમારી, ગાંધીનગર પ્રાંત અધિકારી કે.એમ.ભોરણિયા, યોગ દિવસ ઉજવણીના નોડલ અધિકારી એ.આર.ઝાલા, સહ નોડલ અધિકારી  ર્ડા.ભાવનાબેન પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઅરવલ્લીમાં મગફળીના બોગસ બિયારણનો જથ્થો ઠાલવ્યાની રાવ
Next articleઓવૈસીના શપથગ્રહણ વેળા જયશ્રી રામ નારા ગુંજી ઉઠ્યા