નવ લાખ કર્મી-પેન્શરોને ૩% મોંઘવારી ભથ્થાનો લાભ

890

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૯ થી ૩% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જુલાઇ-૨૦૧૯ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક ૧૦૭૧ કરોડનું વધારાનું ભારણ પડશે. પટેલે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આજે ચર્ચા-વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના, પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા તા.૦૧.૦૭.૨૦૧૮ થી ૨ % મોંઘવારી ભથ્થુ મંજૂર કર્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે ૯ % મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ તા.૦૧.૦૧.૨૦૧૯ થી વધુ ૩ % મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે વધુ ૩ % મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે.

જુલાઇ-૨૦૧૯ ના પગારની ચુકવણી સાથે આ ૩ % મોંઘવારી ભથ્થાનો વધારો તા.૦૧.૦૧.૨૦૧૯ થી ગણીને, જુલાઇ-૨૦૧૯ ના પગાર સાથે તેનું રોકડમાં ચુકવણું કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૦૭૧ કરોડ જેટલુ ભારણ વધશે.

Previous articleચારધામની યાત્રાએ ગયેલા ૩ મિત્રો ગંગામાં ડૂબી ગયા.
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે