ઉદ્યોગગૃહોને ગેસ ભાવમાં પ્રતિ ૨.૫૦ની રાહત જાહેર

516

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના નાના, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વધુ ઉપયોગ કરે તે હેતુથી નેચરલ ગેસનો વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને પ્રતિ એસસીએમડી ૨.૫૦ની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં મળેલી બેઠકમાં નેચરલ ગેસના વર્તમાન દરોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રદૂષણમુક્ત રીતે ઔદ્યોગિક ગૃહો ઉત્પાદન કરે તે માટે નેચરલ ગૅસ વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને ગેસના ભાવમાં રાહત આપવા આ બેઠકમાં મુખ્યમંત્રીએ કરેલા સૂચનને પગલે આ જાહેરાત કરવામાં આવી છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સમગ્ર ભારતમાં હાલ ૮,૯૧૦ ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વપરાશ કરે છે, જેમા ૫૦ ટકા કરતાં વધુ એટલે કે ૪,૯૦૩ ઉદ્યોગોગૃહો તો માત્ર ગુજરાતમાં છે. આ ઉદ્યોગોને વર્તમાન નેચરલ ગૅસ દરોમાં રાહત આપી તેમની ઉત્પાદન કિંમત ઘટાડી રાજ્યની જનતાને વધુ સસ્તા ભાવે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાનો રાજ્ય સરકારનો ઉદેશ છે. ભાવ ઘટાડાના પરિણામે રાજ્યના અન્ય ઉદ્યોગો પણ નેચરલ ગેસનો ઉપયોગ માટે આકર્ષિત થશે. રાજય સરકાર વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે સકારાત્મક પગલાં ભરી રહી છે. ઉદ્યોગો દ્વારા હાલ વપરાશમાં લેવાતા અન્ય વિકલ્પો ફરનેશ, કોલસો, વીજળી, ડીઝલ બધામાં નેચરલ ગૅસ પ્રમાણમાં વધારે સસ્તું  – સ્વચ્છ – સુરક્ષિત – અવિરત મળનારું ઈંધણ છે. સ્વચ્છ-સ્વસ્થ- પ્રદુષણમુક્ત ગુજરાતની સંકલ્પબદ્ધતા સાથે રાજ્યમાં સીએનજી વાહનચાલકોની સાથે-સાથે વધુને વધુ ઉદ્યોગો પણ નેચરલ ગૅસ આધારિત સ્થાપાય તે માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગયા સપ્તાહમાં જ સીએનજી સહભાગી યોજના’ અંતર્ગત આગામી બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૩૦૦થી વધુ સીએનજી સ્ટેશનો સ્થાપવા માટે જાહેરાત કરવામાં આવી છે.

હવે નેચરલ ગેસ વપરાશકર્તા ઉદ્યોગગૃહોને પ્રોત્સાહન આપવા ઇન્ડસ્ટ્રિયલ ગેસના ભાવમાં ઘટાડાનો આ ઉપયુક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.

Previous articleઅમિત શાહની ગુજરાત યાત્રા ત્રીજીથી શરૂ : ભરચક કાર્યક્રમ
Next articleઆજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર : નીતિન પટેલ સંપૂર્ણ બજેટ રજૂ કરશે : રોજગારીને મહત્વ