ગોવા : કોંગ્રેસ છોડીને આવેલા ત્રણ ધારાસભ્યો પ્રધાનો બન્યા

374

ગોવામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધારે મજબુત બની ગઈ છે. સરકારની સ્થિરતા ઉપર હવે કોઈ સંકટ આવશે નહીં. કારણ કે, ગોવામાં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા દસ ધારાસભ્ય પૈકી ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવી દેવામાં આવ્યા છે. આ ત્રણ ઉપરાંત વિધાનસભાના પૂર્વ નાયબ અધ્યક્ષ માઇકલ લોબોને પણ મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે. રાજ્યપાલ મૃદુલા સિન્હાએ આજે ફિલિપ નેરી રોડ્રિગેજ, જેનિફર મોન્સેરેટ અને ચંદ્રકાંત કવલેકા અને માઇકલ લોબોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ પહેલા જોરદાર રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ મંત્રીઓને શપથ મળે તે પહેલા પોતાના મંત્રીમંડળમાં સામેલ રહેલા સાથીપક્ષોના ચાર મંત્રીઓને દુર કરી દીધા હતા. આ ચાર મંત્રીઓમાં નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઈ, વિનોદ પાલીનકર, જયેશ સલગાંવકર અને રોહન ખાંટીને મંત્રીમંડળમાંથી દુર કરી દેવામાં આવ્યા છે. ચાર ગઠબંધન મંત્રીઓએ મુખ્યમંત્રી સાવંત દ્વારા અપીલ કરવામાં આવી હોવા છતાં હોદ્દા પરથી રાજીનામુ આપી દેવાનો ઈન્કાર કર્યો હતો.

ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ સરદેસાઈએ કહ્યું છે કે, આ મુદ્દાને મૈત્રિપૂર્ણ રીતે ઉકેલવામાં આવી રહ્યો છે પરંતુ વિવાદનો અંત આવ્યો ન હતો. સરદેસાઈએ કહ્યું હતું કે, તેમની પાર્ટીએ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી મનોહર પારીકરને વચન આપ્યું હતું કે, ગોવા ફારવર્ડ પાર્ટી ક્યારે પણ સરકારને અસ્થિર કરશે નહીં. પાર્ટી હજુ પણ આ મુદ્દા પર મક્કમ છે. મંત્રીમંડળમાંથી દુર કરવામાં આવેલા ચાર મંત્રીઓ ઉપરાંત બિન ભાજપ એક માત્ર મંત્રી છે જે મંત્રીમંડળમાં યથાવત છે. અપક્ષ ધારાસભ્ય ગોવિંદ ગૌડ ભાજપ સરકારમાં મંત્રી તરીકે અકબંધ રહ્યા છે. ભાજપની સ્થિતિ હવે ગોવામાં વધારે મજબુત બની ગઈ છે.

Previous articleકર્ણાટક કટોકટી : હવે વધુ ૫ સભ્યોની સુપ્રીમમાં રજુઆત
Next articleમોદી-૨ શિક્ષણ સંસ્થાઓમાં ત્રણ લાખ જગ્યાઓ ભરવા માટે તૈયાર