સેન્સેકસમાં ૨૮૯ પોઈન્ટનો ઘટાડો

445

શેરબજારમાં અવિરત મંદીનો દોર આજે પણ જારી રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ ઘટીને ૩૭૩૯૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સમાં ૩૦ શેર પૈકીના ૮ શેરમાં તેજી રહી હતી. યશબેંક, ઇન્ડસ બેંક, હિરોમોટો, એસબીઆઈના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલ, ટીસીએસ, એચસીએલ, એલએન્ડટીના શેરમાં તેજી જામી હતી. બીજી બાજુ નિફ્ટી ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ઉલ્લેખનીયરીતે ઘટી ગયો હતો. જો કે, અંતે ૧૦૪ પોઇન્ટ ઘટીને ૧૧૦૮૫ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૨૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૪૬ રહી હતી જ્યારે એસએન્ડપી સ્મોલકેપમાં ૨૭૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૬૫૦ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આઈટી સિવાયના તમામ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૩.૨૫ ટકા, નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બે ટકા, નિફ્ટી બેંક, પ્રાઇવેટ બેંક, રિયાલીટી અને ફાર્મામાં ૧.૫ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી આઈટીમાં ૦.૬૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં જુદા જુદા શેરોમાં અફડાતફડીનો દોર જોવા મળ્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આજે દિવસ દરમિયાન વિવિધ પરિબળોની અસર રહી હતી જેમાં યુએસ ફેડ રિઝર્વના પોલિસી નિર્ણય પહેલા બજારની સ્થિતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અપેક્ષા કરતા નબળા કમાણીના આંકડાની પણ અસર જોવા મળી રહી છે. હાલમાં વિદેશી મૂડીરોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય કરીને કોર્પોરેટ જગતને ફટકો આપી દેવામાં આવ્યો છે. બીજી બાજુ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા અવિરત વેચવાલી જારી રાખવામાં આવી છે. કોર્પોરેટ કમાણીના આંકડા અપેક્ષા કરતા નબળા રહ્યા છે. આ ઉપરાંત અન્ય પરિબળો પણ જવાબદાર રહ્યા છે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. આજે કોફી ડે એન્ટરપ્રાઇઝના શેરમાં શરૂઆતી કારોબારમાં ઉથલપાથલ જોવા મળી હતી. જુદા જુદા કારણોસર આ કંપનીના શેરમાં સૌથી વધુ કડાકો રહ્યો હતો. ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડની કિંમતો જેવા પરિબળોની અસર પણ જોવા મળી રહી છે. પરિણામોના દોર વચ્ચે યુપીએલ, આઈઓસીના પરિણામ બુધવારે અને એસબીઆઈ, આઈટીસી, એચડીએફસી, ભારતી એરટેલ અને પાવરગ્રીડના પરિણામ શુક્રવારે જાહેર કરાશે. એનએમડીસી, અશોક લેલેન્ડ અને ડીએચએફએલ દ્વારા પણ આ સપ્તાહમાં જ તેમના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થશે. જીએસટી કાઉન્સિલની બેઠક શનિવારના દિવસે યોજાઈ હતી જેમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક શનિવારના દિવસે મળી હતી. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણ બાદ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દરને ૧૨%થી ઘટાડીને ૫% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર પર જીએસટી ૧૮%થી ઘટાડીને ૫% કરી દેવાયો છે. નવા દર ૧લી ઓગષ્ટથી લાગુ કરવામાં આવશે.

જુલાઈ મહિનામાં હવે વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે હજુ સુધી ૩૭૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજેટ ૨૦૧૯-૨૦માં જાહેર કરવામાં આવેલા સુપરરિચ ટેક્સ સહિત વિવિધ પગલાની અસર દેખાઈ રહી છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પહેલીથી ૨૬મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી ૧૪૩૮૨.૫૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે પરંતુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૧૦૬૨૪.૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જેથી કુલ પરત નાણાં ખેંચવાનો આંકડો ૩૭૫૮.૪૪ કરોડનો રહ્યો છે. ગઇકાલે સોમવારના દિવસે કારોબારમાં ભારે ઉથલપાથલ રહ્યા હાદ સેંસેક્સ અંતે ૧૯૬ પોઇન્ટ ઘટીને ૩૭૬૮૬ની નીચી સપાટી પર રહ્યો હતો.આવી જ રીતે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૧૧૮૯ની નીચી સપાટી પર રહ્યો હતો.

Previous articleગ્લોબલ ટી-૨૦ લીગમાં ગેલનો ધમાકો, અણનમ સદી સાથે ૧૨ છગ્ગા ફટકાર્યા
Next articleબીજી બેંકોના એટીએમથી ઉપાડ પર હવે ઓછો ચાર્જ