ભારત છોડો આંદોલન બાદ અંગ્રેજો હચમચી ઉઠ્યા હતા

609

દેશના સ્વતંત્રતા સંગ્રામમાં આઠમી ઓગષ્ટની તારીખ ખુબ મહત્વપૂર્ણ છે. મહાત્માં ગાંધીએ વર્ષ ૧૯૪૨માં આજના દિવસે જ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. ૭૭ વર્ષ પહેલા કરો અથવા તો મરોના નારાની સાથે મહાત્મા ગાંધીએ બ્રિટીશ શાસન સામે પોતાના ત્રીજા સૌથી મોટા આંદોલનને છેડી દેવાનો નિર્ણય કર્યો હતો. આઠમી ઓગષ્ટ ૧૯૪૨ના દિવસે સાંજે મુંબઇમાં કોંગ્રેસ કારોબારીની બેઠક થઇ હતી. બેઠકમાં ભારત છોડો આંદોલન પ્રસ્તાવ પાસ કરવામા ંઆવ્યો હતો. અંગ્રેજોને ભારત છોડવા માટેની ફરજ પાડવામાં આ આંદોલનની મુખ્ય ભૂમિકા હતી.  આજે ઇતિહાસની ઘટનાને ૭૭  વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જો કે યાદો હજુ પણ તાજી રહેલી છે. આ જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અંગ્રજોની ગુલામીથી દેશને સ્વતંત્ર કરાવવા માટે કરો અથવા તો મરોનો નારો આપ્યો હતો. દર વર્ષે આ દિવસને ઓગષ્ટ ક્રાન્તિ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ ઐતિહાસિક પ્રસંગે ઐતિહાસિક યાદ તાજી કરીને વહીવટીતંત્ર દ્વારા ફાઇલ કરવામાં આવેલા એક રિર્પોટરના પેજને શેયર કરીને લોકોને માહિતી આપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેયર કરવામાં આવેલા આ દસ્તાવેજ વાસ્તવમાં આ બાબતના પુરાવા છે કે ભારત છોડો આંદોલન મારફતે મહાત્માં ગાંધીએ કઇ રીતે અંગ્રેજોને હચમચાવી મુક્યા હતા. આંદોલનના કારણે દેશની સ્વતંત્રતા માટેની લડાઇ ચરમસીમા પર પહોંચી ગઇ હતી. આઠમી ઓગષ્ટના મહત્વપૂર્ણ  દિવસની માહિતી મોદી દ્વારા આપવામાં આવી છે. ઘટનાની વિગત રજૂ કરીને આ દિવસે ક્યંમ કઇ ઘટના બની હતી અને કોની ધરપકડ કરવામાં આવી હતી તેની વિગત હવે જારી કરવામાં આવી છે. મુંબઇ સિટીમાં ગાંધી અને વર્કિંગ કમિટીના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. અહીં લોકોના ટોળા પર ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ૧૫ સ્થળો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં આઠ લોકોના મોત થયા હતા અને ૪૪ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં હડતાળ, પોલીસ ગોળીબારમાં એકનુ મોત, થયુ હતુ. પુણેમાં વિદ્યાર્થીઓની ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એકનુ મોત થયુ હતુ. સુરત માટે સૈનિકો રવાના કરવામાં આવ્યા હતા.  અંગ્રેજોને દેશમાંથી જતા રહેવાની ફરજ પાડવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ચોથી જુલાઇ ૧૯૪૨ના દિવસે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. શરૂમાં આ પ્રસ્તાવને લઇને પાર્ટીમાં મતભેદો સર્જાયા હતા. પાર્ટી નેતા રાજગોપાલ ચારીએ પાર્ટી છોડી દીધી હતી. પરંતુ નહેરુ અને મૌલાનાએ બાપુને અંત સુધી ટેકો આપવાની જાહેરાત કરી હતી. મહાત્મા ગાંધી અને તેમના સમર્થકોએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેઓ દ્ધિતીય વિશ્વયુદ્ધના પ્રયાસોને એ વખત સુધી સમર્થન આપશે નહીં જ્યાં સુધી ભારતને સંપૂર્ણપણે સ્વતંત્રતા મળી જતી નથી. બાપુએ કરો અથવા તો મરોના નારાની સાથે તમામ દેશવાસીઓને શિસ્ત જાળવી રાખવા માટે અપીલ કરી હતી. આંદોલનની શરૂઆત થતાની સાથે જ કોંગ્રેસ કારોેબારીના અનેક સભ્યોને પકડી લેવામા ંઆવ્યા હતા. અહિંસાના આ આંદોલનમાં અંગ્રેજી શાસનના નિર્મમ વલણના કારણે ૯૪૦થી વધારે લોકોના મોત થઇ ગયા હતા.  ૧૬૩૦ ઘાયલ થયા હતા. ૬૦ હજાર કાર્યકરોએ ધરપકડ વ્હોરી હતી. અંગ્રેજી શાસનના દસ્તાવેજો મુજબ ઓગષ્ટ ૧૯૪૨થી ડિસેમ્બર ૧૯૪૨ વચ્ચે પોલીસ અને સેનાએ પ્રદર્શનકારી પર ૫૩૮ વખત ગોળીબાર કર્યો હતો. ભારત છોડો આંદોલનના કારણે અંગ્રેજો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. તેમની નીંવ હચમચી ઉઠી હતી. જો કે અંગ્રેજોએ  ભારતીયોના આંદોલનને દબાવી દેવા માટેના તમામ પ્રયાસો જારી રહ્યા હતા પરંતુ સફળતા મળી ન હતી.

Previous articleયુવરાજ સાથે ચીટિંગ…ગ્લોબલ ટી-૨૦માં રમવાના રૂપિયા જ ન મળ્યા
Next articleએનટીઆરઓ નિષ્ણાંતોની મદદ હાલમાં લેવાઈ રહી છે