મણિનગરમાં જૂના ક્રોસિંગ પાસે BRTS બસનો ડ્રાઈવર વૃદ્ધાને કચડી ફરાર

2508

અમદાવાદમાં બીઆરટી એસના બસચાલકોની બેદરકારીના વધુ એક બનાવમાં શનિવારે બપોરે એક વૃદ્ધાનો ભોગ લેવાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વૃદ્ધાને ટક્કર મારી બસચાલક નાસી છૂટ્યો હતો. બીજી તરફ વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મણિનગરમાં જૂના ક્રોસિંગ પાસે માનસરોવર હોટેલ સામેથી શનિવારે બપોરે ત્રણ વાગ્યાના આસપાસ એક વૃદ્ધા પસાર થતાં હતાં. આ સમયે ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે ટક્કર મારતાં તેઓ રોડ પર જ પટકાયા હતા. આ ઘટના જોઈ લોકો દોડી આવ્યા હતા.જો કે વૃદ્ધાનું ઘટના સ્થળે મોત થયું હતું.

બીજી તરફ બીઆરટીએસ બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે (જે ડિવિઝન) બસ ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા વૃદ્ધાના પરિવારજનોની શોધખોળ આદરી છે.

વૃદ્ધાને અડફેટે લેવાની ઘટના નજીકના એક કોમ્પલેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં શાંતિથી પસાર થઈ રહેલા વૃદ્ધાને બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરી ટક્કર મારનારી બીઆરટીએસ બસ દેખાઈ રહી છે.

Previous articleદહેગામના યુવકનો જન્મદિવસ અંતિમ દિવસ બન્યો, પોલીસે પીછો કરતા કોઝવેમાં કાર ખાબકી
Next articleઇડર તા. પં.પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાંચ સદસ્યોએ ભગવો ધારણ કર્યો