બ્રિજની બેરિંગ બદલવાની કામગીરીને પગલે દર રવિવારે સુભાષબ્રિજ બંધ રહેશે

632

સાબરમતી નદી પર બનેલા ૫૬ વર્ષ જુના સુભાષબ્રિજ પુલનાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના પગલે હવે દર રવિવારે સુભાષબ્રિજ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રખાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના ઍક્સ્પાન્શન જોઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવશે. આગામી બે મહિના સુધી દર રવિવારે સુભાષબ્રિજ બંધ રાખવામાં આવશે. જેથી તે દિવસ પૂરતું તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે.

વર્ષ ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રિજનાં ઍક્સ્પાન્શન ગેપ પહોળા થઇ ગયા છે. બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડ પડી છે. આ તિરાડ વાહનચાલકો માટે ભયજનક બની છે. બેરીગ જૂની થઈ ગઈ છે. તંત્રના એક સર્વે મુજબ સુભાષબ્રિજના નાના-મોટા બેરિંગની પોઝિશન બદલાઈ હોઇ ૪૦ મીમીનો ઍક્સ્પાન્શન ગેપ વધીને ૬૦ મીમીથી વધુ થઇ ગયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે રિપેરીંગ માટે દર રવિવાર નક્કી કરવામાં આવ્યો છે. બેરિંગ જૂની થઈ ગઈ હોવાથી તેને બદલી નવી નાખવાની કામગીરી કરવામાં આવશે.

જેના કારણે સુભાષબ્રિજ પરથી વાહન ચલાવવું ખાસ કરી ટુ વ્હીલર ચાલકો માટે ભારે જોખમી બન્યું છે.

બેરિંગ ખૂબ જ જૂની થઈ ગઈ હોઈ તેને ગ્રીસિંગથી સાફ કરીને બેરિંગની મૂવમેન્ટને સરળ કરવાની કામગીરી કરવામાં આવશે.

Previous articleટોઈલેટ ન હોતા પરિણીતાએ ઘર છોડ્યું, પતિને વળતર આપવાનો કોર્ટનો આદેશ
Next article૧૦૮ એમ્બ્યુલન્સે ૧ કરોડ લોકોની જિંદગી બચાવી, ૩૫ લાખ મહિલાઓની પ્રસુતિ કરાવી