સાઉદી અરબનાં તેલ પ્લાન્ટ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલાને કારણે ક્રુડ ઓઇલ માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. આ દરમિયાન ભારત માટે માઠા સમાચાર મળી રહ્યા છે, કારણ કે અરામકો તેલ પ્લાન્ટ પર થયેલા હુમલાને કારણે ભારતમા પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં પાંચ જુલાઇનાં સામાન્ય બજેટનાં દિવસ પછી સૌથી મોટો ભાવ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ ૧૪ પૈસા વધીને ૭૨.૧૭ રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલનાં ભાવ ૧૫ પૈસા વધીને ૬૫.૫૮ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. દેશની સરકારી તેલ કંપનીઓએ આ માહિતી આપી હતી. કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇજ ડ્યુટી વધારી દીધી હતી. ત્યારબાદ તેનાં ભાવમાં અંદાજીત અઢી રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવમાં સોમવારે ૨૦ ટકાનાં ભાવ વધારા સાથે ભારતમાં સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ ડિઝલનાં ભાવમાં વધારો કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજીત ૩૦ વર્ષ બાદ ક્રુડ ઓઇલનાં ભાવમાં છેલ્લા એક દિવસમાં આટલો મોટો ભાવ વધારો થયો છે. બજારમાં હવે ૧૫ ટકાતેજી સાથે માર્કેટ બંધ થયું હતું. આજે આંતરરાષ્ટ્રીય માર્કેટ થોડું નીચે ચાલી રહ્યું હતું, પરંતુ હુમલાનાં વળતા પ્રહારમાં સૈન્ય કાર્યવાહીની આશંકાએ બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
મંગળવારે બ્રેન્ટ ક્રુડ ઓઇલ થોડા દિવસોની સરખામણીએ ૩૬ સેન્ટ એટલે કે ૦.૫૦ ટકા ઘટીને ૬૮.૬૬ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યુ હતું. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભારત દરેક સ્થિતી પર ચાંપતી નજર રાખીને બેઠું છે. ભારત દુનિયાનું સૌથી મોટું ત્રીજું પેટ્રોલિયમ ગ્રાહક છે. ધર્મન્દ્ર પ્રધાને દિલ્હીમાં પત્રકારોને જણાંવ્યું કે જ્યારે કિમતો ઉછળે છે, તો ચિંતા અવશ્ય થાય છે. શનિવારની ઘટના બાદની સ્થિતી અમારા માટે ચિંતાજનક છે.