વડોદરામાં ૫ લાખ લોકોને આગામી ૫ દિવસ પાણીથી વંચિત રહેવું પડશે

438

વડોદરા મહા નગરપાલિકાના અંધેર વહિવટી તંત્રના કારણે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ લોકોને આગામી પાંચ દિવસ પાણીથી વંચિત રહેવું પડશે. છોટાઉદેપુર તાલુકાના નસવાડી નજીક સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ભંગાણ પડતાં આ સ્થિતિ સર્જાઇ છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા મહાનગરપાલિકા પાસે પાંચ દિવસ પાણીથી વંચિત રહેનાર પાંચ લાખ લોકોને પાણી પૂરું પાડવાની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ની મુખ્ય કેનાલમાં ભંગાણ પડ્યું છે. આ કેનાલનું સમારકામ કરવાનું હોવાથી નિગમ દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના શેરખી ઇન્ટેક વેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે નર્મદા કેનાલમાંથી પુરતા પ્રમાણમાં પાણી મળી શકે તેમ નથી. જેથી શેરખી ઇન્ટેક વેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પાણીનો જથ્થો મેળવતી પશ્ચિમ ઝોનની ગાયત્રીનગર, હરીનગર, વાસણા, તાંદલજા ટાંકી તેમજ દક્ષિણ ઝોનની માંજલપુર ટાંકી હળવા દબાણથી ઓછો સમય માટે ૮-૧૦-૦૧૯ના રોજથી ચાર દિવસ માટે સવારે અને સાંજે પાણી વિતરણ કરી શકાશે નહીં. અને પશ્ચિમ ઝોનની ગોરવા, સુભાનપુરા, વડી-વાડી, અકોટા તથા કલાલી પાણીની ટાંકીઓ ખાતેથી આજથી ૮-૧૦-૧૯ સુધી ચાર દિવસ માટે સવારે અને સાંજે હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે.

Previous article૧૦૦ વર્ષ જૂનુ પીપળાનુ વૃક્ષ કાપવામાં આવતા ગઢડા મંદિર ફરી વિવાદમાં
Next articleપાલિકાના વીસ હજારથી વધુ કર્મચારીઓને રૂ.૭૦ કરોડનો પગાર દિવાળી પહેલા ચૂકવાશે