૧૭ જજોની વરણીની માંગ સાથે સજ્જડ હડતાળ રહી

362

ગુજરાત રાજયના ૩૩ જિલ્લાઓમાં લાખોની સંખ્યામાં સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટી, ખરીદ વેચાણ સંઘો, મંડળીઓ, હાઉસીંગ સોસાયટી વગેરે આવેલા છે અને જેની તકરાર કે વિવાદના નિકાલ માટે વિવિધ જિલ્લામાં કુલ ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ, એપલેટે ટ્રિબ્યુનલ અને ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલની સ્થાપના કરાયેલી છે. પરંતુ છેલ્લા સાત મહિના ઉપરાંતના સમયથી રાજયની ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી માત્ર સમ ખાવા પૂરતી એક જ નોમીની કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે તેમ જ ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યા ખાલી છે. આ સમગ્ર મામલે રાજય સરકાર, ગુજરાત હાઇકોર્ટ અને છેક વડાપ્રધાન સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં નિમણૂંકો નહી થતાં ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશન દ્વારા આજે તા.૧૧મી ઓકટોબરે બહુ સજ્જડ અને જડબેસલાક રાજયવ્યાપી હડતાળ પાડવામાં આવી હતી. ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનના પ્રમુખ એચ.આર.શાહ, એસોસીએશનના અગ્રણી એડવોકેટ હર્ષદભાઇ ત્રાડા અને ધીરજભાઇ ઠક્કરની આગેવાની હેઠળ વકીલોએ આજે કોર્ટ કામગીરીથી અળગા રહી જજોની નિમણૂંકની માંગ સાથે બેનરો-પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોની હડતાળને પગલે આજે અમદાવાદ સહિત રાજયભરમાં બોર્ડ ઓફ નોમીની કોર્ટ અને ગુજરાત કો.ઓ.ટ્રિબ્યુનલમાં કોર્ટ કામગીરી બિલકુલ ઠપ્પ રહી હતી. દરમ્યાન આજની હડતાળને પગલે રાજયના સહકાર સચિવ મનીષ ભારદ્વારજે એસોસીએશનના પ્રતિનિધમંડળને તાબડતોબ ગાંધીનગર બોલાવ્યા હતા અને ટૂંક સમયમાં જજોની નિમણૂંકની હૈયાધારણ આપી હતી.

રાજયની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં અને ટ્રિબ્યુનલમાં જજોની નિમણૂંક નહી કરવામાં આવતાં આજરોજ  ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનના પ્રમુખ એચ.આર.શાહ, એસોસીએશનના અગ્રણી એડવોકેટ હર્ષદભાઇ ત્રાડા અને ધીરજભાઇ ઠક્કરની આગેવાની હેઠળ આશિષ શાહ, વી.સી.રાવલ, મેનેજર તરૂણભાઇ ઠક્કર અજીત ગઢવી, ભીખુભાઇ કાલમેક, અતુલ શેઠ, અક્ષય ત્રિવેદી સહિતના ૫૦થી વધુ વકીલો લાલદરવાજા, અપનાબજાર ખાતેના સંકુલમાં બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ ખાતે એકત્ર થયા હતા અને સરકારના ઉદાસીન અને અસહકારભર્યા વલણના વિરોધમાં જોરદાર દેખાવો યોજી ઉગ્ર આક્રોશ અને વિરોધ વ્યકત કર્યો હતો. ગુજરાત કો.ઓ.બાર એસોસીએશનના પ્રમુખ એચ.આર.શાહ, એસોસીએશનના અગ્રણી એડવોકેટ હર્ષદભાઇ ત્રાડા અને ધીરજભાઇ ઠક્કરે જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાત રાજયમાં છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાંથી ફકત એક જ નોમીની કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રિબ્યુનલમાં પણ બે મેમ્બરોની જગ્યાઓ ખાલી છે. જજોની નિમણૂંકના અભાવે બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોમાં હજારો સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાયા છે. તો, મંડળીઓ, સહકારી સંઘો, બેંકો, હાઉસીંગ સોસાયટીઓ અને સભાસદોને પારાવાર નુકસાન થઇ રહ્યુ છે. વકીલોની સાથે સાથે પક્ષકારો બહુ ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે અને પ્રજાજનો ન્યાયથી વંચિત રહી રહ્યા છે.  અગાઉ ખુદ હાઇકોર્ટ તેમ જ સુપ્રીમકોર્ટના હુકમને પગલે સરકારને ખાલી જગ્યા ભરવાની ફરજ પડી હતી પરંતુ ત્યારબાદ સમયાંતરે જગ્યાઓ ખાલી પડતાં આજે છેક ફેબ્રુઆરી-૨૦૧૯થી બોર્ડ ઓફ નોમનીઝની ૧૭ કોર્ટો, ગુજરાત સ્ટેટ કો.ઓ.ટ્રિબ્યુનલમાં બે મેમ્બરોની જગ્યા ખાલી છે. ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશનની આજની હડતાળમાં અમદાવાદ સહિત રાજયના અન્ય બાર એસોસીએશન તરફથી પણ આ હડતાળને સમર્થન જારી કરવામાં આવ્યું હતું.

Previous articleરાહુલ ગાંધીનો દસ હજારના જામીન ઉપર છૂટકારો
Next articleવડોદરામાં બ્રીજ પરથી ખાબકતા ટ્રકમાં આગ લાગી, ત્રણ જણા જીવતા ભૂંજાયા