દિવાળીથી ૨૦ દિવસ માટે સુભાષબ્રિજ પુલ વાહન ચાલકો માટે બંધ રહેશે

515

અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા ૫૬ વર્ષ જુના સુભાષબ્રિજ પુલને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર છે. અમદાવાદમાં સુભાષબ્રિજ પુલ ૨૦ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીથી ૨૦ દિવસ માટે સુભાષબ્રિજ પુલ વાહન ચાલકો માટે બંધ રહેશે. વાહનચાલકોને દિવાળીના દિવસથી આ મુશ્કેલીઓ પડવાની છે, તેના માટે વાહન ચાલકો માટે રૂટનું ડાયવર્ઝન કરવામાં આવશે તેવું એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે.

સાબરમતી નદી પર બનેલા ૫૬ વર્ષ જુના સુભાષબ્રિજ પુલનાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના પગલે હવે દિવાળીના દિવસથી ૨૦ દિવસ માટે સુભાષબ્રિજ પુલ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રખાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના ઍક્સ્પાન્શન જોઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવશે. જેથી ટૂંક સમયમાં અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે.

વર્ષ ૧૯૬૨માં બનેલા સાબરમતી નદી પરના સુભાષબ્રિજનાં ઍક્સ્પાન્શન ગેપ પહોળા થઇ ગયા છે. બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડ પડી છે. આ તિરાડ વાહનચાલકો માટે ભયજનક બની છે. બેરીગ જૂની થઈ ગઈ છે. તંત્રના એક સર્વે મુજબ સુભાષબ્રિજના નાના-મોટા બેરિંગની પોઝિશન બદલાઈ હોઇ ૪૦ મીમીનો ઍક્સ્પાન્શન ગેપ વધીને ૬૦ મીમીથી વધુ થઇ ગયો છે.

Previous articleતલોદ માર્કેટયાર્ડમાં વેપારીઓએ મગફળીના રૂ.૬૦૦થી હરાજી શરૂ કરતા ખેડૂતોનો હોબાળો
Next articleવીમો મેળવવા વિદેશમાં રહેતી દંપતિએ ૧૧ વર્ષના દત્તક પુત્રને મરાવી નાખ્યો