તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં ૨ યુવાનનાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

369

જહાંગીરપુરા ખાતેના વરિયાવ ગામ પાસેના તળાવમાંથી રાત્રે રહસ્યમય સંજોગોમાં ૨ યુવાન મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે તેમના ભેદી મોત અંગે અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું હતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ રાંદેરના મોરાભાગળ ખાતે ખાડાકુવા પાસે રહેતા ૩૪ વર્ષીય કમલ યોગેશભાઈ પટેલ અને તુષાર હિંમતભાઈ પટેલ (ઉંમર વર્ષ ૨૭- રહે , કુંભાર મોહલ્લો, બરબોઘનગામ, ઓલપાડ) રાત્રે જહાંગીરપુરાના કોસમ ગામની સીમમાં આવેલા વરીયાવ ખાતે તળાવમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ વાત વાયુવેગે ફેલાતા ભારે ચકચાર મચી ગઈ હતી.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તુષારનો કોઈની પત્ની સાથે પ્રેમ હોવાની સંભાવના સેવાઈ રહી છે. આવા સંજોગોમાં બંને યુવાનો કઈ રીતે તળાવમાથી મળી આવ્યા તે અંગે પૂછપરછ કરવાની બાકી છે. જે તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે.

બંનેના પોસ્ટમોર્ટમ કરનાર નવી સિવિલના ડૉક્ટરે કહ્યું હતું કે કમલના ગળામાં આંતરિક નિશાન મળી આવ્યા હતા જ્યારે તુષારના ખભાના ભાગે દાંતના નિશાન મળી આવ્યા હતા. જોકે તુષાર ડૂબી જવાથી મોત થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ બંનેના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ બંનેના મોતનું સાચુ કારણ જાણવા મળશે. આ અંગે જાંગીપુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleકોડિનાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ ૬૦૦-૭૦૦ રૂ. જાહેર થતાં ખેડૂતોનો હોબાળો
Next articleરેલવે સ્ટેશન પર કામ કરતા સફાઈ કામદારોને દૈનિક પગારથી ઓછા નાણાં ચૂકવાતા હોબાળો