કોંગ્રેસે છેવાડા સુધી લોકોને લાભ પહોંચાડયા નથી : શાહ

1512

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ઔડા દ્વારા તૈયાર કરાયેલા રૂ.૮૩૦ કરોડના વિકાસ કાર્યોનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રીજ, પાંચ જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રીજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કરાયુ હતું. જેમાં બાળકો રમી શકે તેવો લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે, તે આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે. આ પ્રસંગે અમિત શાહે મોદી શાસન દરમ્યાન ગરીબ અને મધ્યમ વર્ગ સહિત તમામ વર્ગના લોકો માટે કરાયેલા કામોની યાદ અપાવી હતી.

શાહે પોતાના ભાષણ દરમ્યાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચાંદીની ચમચી સાથે જન્મતા લોકોને ગરીબોના ઘરની વેદના ખબર ના હોય. કોંગ્રેસે તેના શાસન દરમ્યાન ગરીબ અને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના લાભો પહોંચાડયા નથી, તે મોદી સરકારે આખરે સાકાર બતાવ્યું છે.

આજે દેશમાં લોકોના કામો કરનાર અને વિકાસની હરણફાળ ભરનાર મોદી સરકારના અને મોદી મોદીના નારા લાગી રહ્યા છે ત્યારે મોદી-મોદીના નારાઓ સાંભળી કોંગ્રેસના પેટમાં ચૂંક ઉપડે છે. ઉલ્લેખનીય છે કે, શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ.૭.૫૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ચીલ્ડ્રન પાર્કમાં ૩૨૭ ચોરસમીટર જગ્યામાં લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે. આ ઉપરાંત અહીં ગઝેબો તથા સીટીંગ એરેન્જમેન્ટ પણ ગોઠવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિકાસકાર્યો આંકડાકીય દ્રષ્ટિએ જોવા જઇએ તો, રૂ.૭.૫૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પર ચીલ્ડ્રન પાર્ક, રૂ.૫૫૩.૭૨ કરોડ મ્યુનિ.ના કામોનો ખર્ચ, રૂ.૨૪૫.૬૦ કરોડ ઔડાના કામોનો ખર્ચ, રૂ.૯૯ કરોડ બનેલા ૧.૨૧ કિમી લાંબો અંજલિ બ્રીજનો ખર્ચ, રૂ.૭૩.૩૮ કરોડ સાયન્સ સિટી બ્રીજનો ખર્ચ, રૂ.૬૦.૯૯ કરોડ ઝુંડાલ નજીક બ્રીજનો ખર્ચ, રૂ.૪૦૦ કરોડ પ્રહલાદનગર, રિવરફ્રન્ટ, સિંધુભવન, દાણાપીઠમાં મલ્ટિલેવલ પાર્કિંગનો ખર્ચ અને રૂ.૨૮૮.૮૩ કરોડ ખર્ચે ૪૪૩૯ આવાસોનો ડ્રો કરી લોકોને સુપરત કરવામાં આવશે. આમ, શાહ દ્વારા કુલ રૂ.૮૩૦ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Previous articleકાળી ચૌદશ : હનુમાન અને મહાકાળી મંદિરમાં ઘોડાપૂર
Next articleદિવાળીને લઇ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની પડાપડી