મિત્રતા – પસંદગીની સ્વતંત્રતા

5914

લોહીના સંબંધ કરતાં પણ વિશેષ સંબંધ જેની સાથે જોડાતો હોય એ સંબંધ મિત્રતાનો છે.
મિત્રો,આની પહેલાં મેં મારા બે આર્ટીકલમાં મિત્રતા કેવી હોવી જોઈએ ? મિત્રો કોને કહેવાય ? તે વિષય પર મન ભરીને લખ્યું છે. સાત વર્ષ પહેલા મેં લખવાની શરૂઆત પણ આ જ વિષય સાથે કરી હતી અને શરૂઆત જ એવા વિષયથી કરી કે ત્યારથી સતત લખવાની પ્રેરણા મળી રહી છે. આજે તમને મારે વાત કરવી છે મને મળેલા સોના – રૂપાથી પણ વધારે કિંમતી અને મને જીવન જીવવાની પ્રેરણા સતત આપે છે તેવા મારા આદર્શ અને સન્માનીય મિત્રોની.મને મળેલા મિત્રો પાસેથી હંમેશા હું કંઈક ને કઈંક શીખ્યો છું.હંમેશા કોઈ મિત્રમાં એક અલગ અને ખાસ વિશેષતા હોય જ છે પણ આજે જે જીવનમાં સૌથી વધારે જેઓની નજીક રહ્યો છું અને મને જેમની પાસે જાણવા અને શીખવા મળ્યું છે તેવા નિખાલસ અને નિર્દોષ મિત્રો માટે લખવા ઈચ્છું છું.સહદેવ પાસેથી શીખવા મળ્યું કે વધારે પડતી કોઈપણ પાસે અપેક્ષા રાખવાથી દુઃખ જ મળે છે તો હંમેશા જતું કરે તે જીતે તે રાહુલ પાસેથી જાણ્યું છે.અમારા જયદીપભાઈ પાસેથી શીખ્યો કે આપણેથી ઉંમરમાં નાના હોય તેમણે પણ માનથી બોલાવો એટલે સામે વાળી વ્યક્તિ તમને હંમેશા માન આપશે અને તે પણ તમારી સાથે ખુલીને વાત કરશે જ.તો હું મારા કોલેજના મિત્રો પાસેથી શીખ્યો કે જીવનમાં ક્યારેય ચા સુધ્ધાનું વ્યસન ના જ હોવું જોઈએ.એકબીજાને સમજવામાં અને સાંભળવામાં અને બીજાને મદદરૂપ થઇને આખું જ ગૃપ આનંદ અનુભવતું હતું. બીજાને મદદરૂપ થઈને આનંદ કેવી રીતે અનુભવવો તે આ લોકોએ સારી રીતે મને સમજાવ્યું છે તે પછી યોગેશ, નીક,ભટ્ટજી,અગ્રાવત,વહાણકા, ભાવિન કે ગોળ હોય.આજે પણ હાંકલ કરો એટલે મિત્રો દોડીને આવે વહાલા હેતથી. મારા ગોકુળિયું ગામ એટલે બુઢણા.ગામમાં નાનપણનું મારું ગૃપ જય સરકારી.જ્યાં રાત્રે ઓટલે મળે એટલે આખા દિવસનો થાક ગાયબ થઇ જાય. બીમાર હોય અને ઓટલે આવે એટલે બીમારી ગાયબ.ક્યારેક આયોજન વગરનું ક્યાંક નીકળી જવું અને તેનો અદકેરો આનંદ કેવી રીતે મેળવી શકાય તે આ ગૃપ પાસેથી જાણ્યું છે.જેમ જીવનમાં કોઈ મુશ્કેલી કે પ્રશ્ન કહ્યા વગર નથી આવતો તેમ ક્યારેય આવો ઓચિંતો આનંદ અકલ્પનીય હોય છે.મને મળેલ ભાવેશને કેમ ભૂલી શકું કારણ કે અદભુત વ્યક્તિ અને વ્યક્તિત્વ ગમે તે પૂછો અમારા માટે ગુગલ.સ્પોર્ટ હોય કે પોલીટીક્સ,તાજેતરના બનાવો હોય કે સામાજિક ઘટના હોય કે ગમે તે ગમે ત્યારે પૂછી લો નઈ ! બસ એક વાર માથામાં ખંજવાળે એટલે સમજવાનું કે જવાબ મળી ગયો.ગોપાલભાઈ એટલે જે આઠે પહોર આંનંદમાં જ હોય.દરેક પળને ઉજવી જાણે અને તેની સાથે રહો એટલે કાયમ દિવાળી જ હોય.પોતે આનંદમાં રહે તેવું નહિ પણ પોતાની સાથે રહેલ દરેક વ્યક્તિને આનંદમાં જ રાખે. લાલીભાઈ એટલે મારા માટે અલાર્મ.કારણ કે રાત્રે અમારા ગ્રુપમાં ગમે તે પ્રસંગમાં જાગવાનું હોય તો પણ સવારે સમયસર કેમ પહોંચવું અને તે પણ નિર્ધારીત સમય પહેલા તેની પાસેથી સારી રીતે હું શીખ્યો છું.અજયભાઈ એટલે મારા માટે કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક વ્યક્તિ.તેની પાસેથી જાણવા મળ્યું કે જીવનમાં ક્યારેક આપણા હક અને અધિકાર વગરનો રૂપિયો પણ ના લેવો જોઈએ.જયદીપ એટલે એવી વ્યક્તિ જે હોસ્પિટલમાં પોતે એડમિટ હોય અને બાજુવાળાની સતત ચિંતા કરે કે આ ભાઈને કોણ કિડની આપશે?મારી નવી નોકરી હોય તો સુરતથી આખા દિવસમાં ત્રણ વાર ફોન કરે,મને મજા ના હોય કે ઘરનો કોઈ પ્રશ્ન હોય તો મલયને ફોન કરીને મને મળવા માટે કહે.લોકો સાથે કઈ રીતે તાલ મિલાવીને ચાલવું તેની પાસેથી સારી રીતે જાણ્યું છે જે જીવનમાં ઉપયોગી થાય છે. કોઈની સારી વાતની જાહેરાત કરતાં અને કોઈની ખરાબ વાતને ઘરે પણ ના કહેવી તે સારી રીતે જયદીપ પાસેથી જાણ્યું છે.મલય એટલે હસમુખો વ્યક્તિ તેની પાસે ગમે ત્યારે ગમે તે વસ્તુ માગું તે આપી દે પછી તે ગમે વસ્તુ કેમ ના હોય નિખાલસતાથી રહેતાં અને બીજાને મદદરૂપ કઈ રીતે થવાય તે સારી રીતે જાણ્યું છે.મારા મિત્ર ભટ્ટજી ભલે સાયકલ પણ ના આવડે પણ અડધી રાતનો હોંકારો.એ ચાલીને આવે તેટલો વિશ્વાસ.ગમે તેવી પરિસ્તિતિમાં તટસ્થ કેમ રહી શકાય તે તેમની પાસેથી જાણ્યું. મને મળેલા કોલેજના મિત્રો રૂબી, ક્રિશું, દિશું બધાના મેરેજ થઇ ગયા છે પણ હજી આ બધા જ મિત્રો નિખાલસ અને નિર્દોષ પણે વાત કરે છે તેમણે કોઈ પણ સાથે ખુલીને વાત કરતાં અને બીજા પર વિશ્વાસ કરતાં શીખવ્યું છે.આ છે સાચી મિત્રતાની તાકાત.છેલ્લા સાત વર્ષથી મળ્યા નથી કે હું કોઈના મેરેજમાં જઈ શક્યો પણ નથી છતા પણ કોઈ ફરિયાદ નહિ. આ બધા મિત્રોએ મને જીવનમાં સતત પ્રેરણા આપી છે શીખવ્યું છે.મારા કામને બિરદાવે પણ ખરા.જયારે જે જરૂર પડે તે વસ્તુ મારા માટે ગમે ત્યાંથી ગમે તે રીતે લઈને આવે પણ ખરા જ.જરૂર પડે મને સમજાવ્યો છે.હું ખોટા રસ્તે જતો હોવ તો મને રોકે,ટોકે,અટકાવે અને જરૂર પડે ત્યાં ખીજાય પણ ખરા જ.મિત્રતા એટલે કશું જ નહિ અને મિત્રતા એટલે બધું જ.હાથ માંગો અને હૈયું આપી દે એટલે મિત્ર. મિત્રતા માયકાંગલાની મહોતાજ નથી કારણ કે જતું કરે તે જીતે. મગજથી કરેલ મિત્રતા લાંબો સમય ચાલે નહિ કારણ કે તેમાં સ્વાર્થ હોય છે જયારે દિલથી કરેલ મિત્રતામાં હંમેશા આનંદ જ હોય છે.જ્યાં આપણી કોઈ આવવાની પ્રતીક્ષા કરે અને આપણા જવાથી ખાલીપો અનુભવે.હું અંગત રીતે એવું પણ માનું છું કે જે સારો મિત્ર ના બની શકે તે સારો પ્રેમી અને જીવનસાથી ક્યારેય ના જ બની શકે. હા તમારો મિત્ર ગમે તે હોઈ શકે , ગમે તે જ્ઞાતિનો હોઈ શકે,ગમે તે ઉંમરનો હોઈ શકે કે પછી કોઈ સ્ત્રી મિત્ર પણ હોઈ શકે તેમાં કોઈ બંધન નથી બસ તે નિખાલસ હોવો જોઈએ.ભગવાન શ્રીકૃષ્ણ પણ સુદામાની મિત્રતા વગર રહી ના શક્યા જ્યારે આપણે તો માનવી છીએ.મિત્રતા વગરની કલ્પના પણ ના થઇ શકે જીવન જીવવું તો દૂરની વાત છે. આજના આ પાવન દિવસ નહિ પણ પર્વને આપણે ઉજવીએ.મિત્રતાને મન ભરીને માણીએ અને આટલા બધા મિત્રો હોવા તે મોટી વાત નથી પણ તેમાંથી આપણું કોણ છે તે મહત્વની વાત છે.આપ સર્વે વાંચક મિત્રોને ફ્રેન્ડશીપ દિવસની અઢળક શુભકામનાઓ સાથે.

હવે પછી સમયાંતરે હજી થોડા મિત્રોની એક આગવી શૈલી અને ઓળખ સાથે મળશું.

.મિલન મહેતા બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨

Previous articleનયન રમ્ય ગૌરીશંકર તળાવ
Next articleમાલ પરિવહન ને પ્રોત્સાહન આપવા માટે રેલવે ની નવી પહેલ