કોરોનાએ ગતિ પકડીઃ ૨૪ કલાકમાં નવા ૪૦ હજાર કેસ

465

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
૧૦ મહિના પછી ભારતમાં ૫ દિવસમાં આટલા ઝડપથી કેસ વધતા નોંધાયા છે. આ દરમિયાન ૭ દિવસના સમયગાળામાં ૩૯%નો કોરોના કેસમાં વધારો નોંધાયો છે.
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો ૪૦,૦૦૦ની એકદમ નજીક પહોંચી ગયો છે, ગુરુવારે એટલે પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૩૯,૬૭૦ નવા કેસ નોંધાયા છે. આ પહેલા એક દિવસમાં આટલા બધા કેસ પાછલા વર્ષે ૨૮ નવેમ્બરના રોજ નોંધાયા છે. કોરોનાના વધી રહેલા કેસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૨૫,૮૩૩ કેસ નોંધાયા છે અને તે સપ્ટેમ્બર બાદનો સૌથી મોટો આંકડો છે. હવે મહારાષ્ટ્રમાં મુંબઈ-નાગપુર-પુણે-નાસિક જેવા મોટા શહેરો ઉપરાંત હવે ટિયર-૨ શહેરોમાં પણ કોરોનાની ગતિ અચાનક વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં થાણે, ઔરંગાબાદ, નાંદેડ, અમરાવતી, અકોલા, નાંદુરબાર જેવા વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
પાછલા દિવસમાં નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૨૫,૮૩૩ નોંધાયા છે, ૧૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાન્યુઆરી કે તે પહેલાના સૌથી વધુ એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો છે.
પાછલા ૫ દિવસમાં, સરેરાશ ૭ દિવસ પ્રમાણે જોઈએ તો દરરોજના નવા કેસમાં ૫%નો વધારો નોંધાયો છે. આંકડાઓ પ્રમાણે પાછલા મે મહિનામાં કોરોનાના કેસમાં સતત ૫ દિવસ દરમિયાન ઉછાળો નોંધાતો હતો તે પ્રમાણે ફરી દરરોજના કેસમાં નોંધાઈ રહ્યા છે. આ પહેલા, દરરોજ નોંધાતા નવા કેસના ઉછાળામાં ૧૯થી ૨૨ મે દરમિયાન ૫% કરતા વધુનો ઉછાળો નોંધાતો હતો.
મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે પરંતુ આ વધારો કેસના વધારાની સરખામણીમાં નીચો રહ્યો છે. ભારતમાં ગુરુવારે ૧૫૪ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે ૧૫૦ કરતા વધુ મૃત્યુ નોંધાયા છે.
ગુરવારે પાછલા ૭ દિવસના મૃત્યુઆંક ૧૫૦ને પાર કરી ગયા છે, આવું ૨૩ જાન્યુઆરી પછી પહેલીવાર થયું છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ મુંબઈમાં પણ પાછલા દિવસની સરખામણી કરતા કોરોનાના નવા કેસમાં નવો વધારો નોંધાયો છે.
મુંબઈમાં ગુરુવારે નવા ૨,૮૭૭ કેસ નોંધાયા છે, જે પહેલા બુધવારે ૨,૮૪૮ કેસ કેસ સાથે ૧૦ ઓક્ટોબર, ૨૦૨૦નો રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ સારી બાબત એ છે કે ગુરુવારે ૧૧ સપ્ટેમ્બરથી નીચો મૃત્યુઆંક રહ્યો છે.
ઉત્તર પશ્ચિમ અને ઓડિશા તથા બિહાર સિવાયના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં વધારો નોંધાયો છે. પંજાબમાં ૨,૩૮૭ નવા કેસ નોંધાયા, જે ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ પછી સૌથી મોટો આંકડો છે. કેન્દ્રીય પ્રદેશ ચંદીગઢમાં પણ ૨૧૧ કેસ નોંધાયા છે જે ૨૫ સપ્ટેમ્બર પછી નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

Previous articleગોડીજી પાર્શ્વનાથ જિનાલય ૧૯૦મી સાલગિરિ પ્રસંગે આગી
Next articleભારત સરકાર પોતાની મોબાઈલ એપ સ્ટોર વિકસાવશેઃ પ્રસાદ