બધા લક્ષણ હોવા છતાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે છે

357

(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૧૫
જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા લોકોની ચિંતા પણ વધી રહી છે અને અવનવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ એવું પણ સામે આવી રહ્યું છે કે કોરોના તમામ લક્ષણો હોવા છતાં ટેસ્ટમાં તે નેગેટિવ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારે કાળજી રાખવાની જરુર છે.ઘણાં લોકો એ વાતને લઈને ચિંતિત છે કે આખરે કોરોના રિપોર્ટ નેગેટિવથી પોઝિટિવ કઈ રીતે આવી શકે છે? લોકોને આવા સમયે લેબ પર શંકા જાય છે, ક્યારેક સેમ્પલ લેનારી વ્યક્તિ પર તો ક્યારેક ટેસ્ટ સેન્ટર પર શંકા થાય છે. જોકે, સ્થિતિ કંઈક અલગ જ છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ઘાતક સાબિત થઈ રહી છે. પાછલા ૧૫ મહિનામાં કોરોનાએ પોતાનું સ્વરુપ બદલ્યું છે, આ કારણે ટેસ્ટમાં પણ તે પકડાતો નથી. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ મંગળવારે રિપોર્ટ રજૂ કર્યો હતો કે, પ્રત્યેક પાંચમાંથી ૨૦% દર્દીઓનો રિપોર્ટ ખોટો આવી રહ્યો છે, જેમાં તેમને કોરોના હોવા છતાં તે પકડાઈ રહ્યો નથી. કેટલાક દર્દીઓને બીજા અને ત્રીજા ટેસ્ટમાં પણ સંક્રમણ અંગે ખ્યાલ નથી આવી શકતો.આ ચિંતાની વાત છે, કારણ કે કોરોના વાયરસ હવે આરટી-પીસીઆર ટેસ્ટમાં પણ પકડાતો નથી. જોકે, આરટી-પીસીઆર કોરોના સંક્રમિતને ઓળખવા માટે એકદમ વિશ્વાસપાત્ર રીત મનાય છે. આવામાં રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ દર્દીને ડૉક્ટરને મળવાની જરુર નથી લાગતી અને વ્યક્તિ ઘરમાં કે ઓફિસમાં પોતાને બધાતી અલગ પણ નથી રાખતી. આવી સ્થિતિમાં દર્દીનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થાય છે અને અન્ય સંપર્કમાં આવેલા લોકો પણ સંક્રમિત થાય છે.
ઈન્સ્ટિટ્યુટ ઓફ લીવર એન્ડ બાઈલિયરી સાયન્સના પ્રોફેસર, ડૉક્ટર પ્રતિભા કાલે જણાવે છે કે, દર્દીઓનો રિપોર્ટ ખોટો આવી રહ્યો છે આવામાં શક્ય છે કે તેમના નાક અને ગળામાં વાયરસ છે જ નહીં. આ કારણે નાક અને ગળામાંથી લેવાયેલા સ્વેબ સેમ્પલનો ટેસ્ટ કરાય ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે.
અમેરિકાના ઈલિયોનિસ યુનિવર્સિટી અને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પાછલા સપ્ટેમ્બર મહિનામાં એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું હતું, જેમાં કોરોનાના બદલાતા સ્વરુપના કારણે તે ટેસ્ટમાં પકડાશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એ સમયે ચેતવણી આપી હતી કે વાયરસ મ્યુટેશનથી ખોટો રિપોર્ટ આવી શકે છે, ત્યારે યુકે, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝિલવાળા વેરિયન્ટ્‌સ નહોતા આવ્યા, પરંતુ તે વેરિયન્ટ હાલ વધારે આક્રામક બની રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ કોરોના ટેસ્ટિંગ કિટ ખોટા પરિણામ આપી રહી છે. આરટી-પીસીઆર ટેસ્ટમાં કોરોના વાયરસના ઘણાં ભાગોની તપાસ થાય છે, પરંતુ અલગ-અલગ દર્દીઓથી લેવામાં આવેલા સેમ્પલમાં અલગ-અલગ જિનેટિકના સાર્સ-કોવ-૨ના કારણે રિપોર્ટમાં અંતર હોઈ શકે છે. જોકે, અમેરિકાની સ્વાસ્થ સંસ્થા એફડીએના ડૉક્ટર સલાહ આપે છે કે તેઓ કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તે પછી પણ શંકાસ્પદ જણાતા દર્દીનો વારંવાર ટેસ્ટ કરતા રહે.

Previous articleબોર્ડની પરીક્ષાઓ મોકૂફ, ધો.૧-૯-૧૧માં માસ પ્રમોશન અપાશે
Next articleદૈનિક કેસની મુદ્દે ભારત યુએસને પાછળ છોડવાની તૈયારીમાં