ભારતમાં કોરોનાના વધુ ૧.૩૨ લાખ કેસ,મૃત્યુઆંક ફરી ૩૦૦૦ને પાર

720

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
ભારતમાં કોરોનાના કેસનો આંકડો હવે કાબૂમાં આવતો દેખાઈ રહ્યો છે પરંતુ ગઈકાલની સરખામણીમાં નવા કેસ અને કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના કેસ ૧.૩૦ લાખની અંદર પહોંચ્યા હતા અને મૃત્યુઆંક ૩૦૦૦થી ઓછો નોંધાયો હતો, જોકે, પાછલા ૨૪ કલાકમાં નોંધાયેલા આંકડામાં તેમાં વધારો થયો છે. કોરોનાના દર્દીઓ ઘટતા હોસ્પિટલો પરથી હાઉસફૂલના પાટિયા ઉતરવાના શરુ થઈ ગયા છે અને ઓક્સિજનની અછતનું પણ સમાધાન થઈ રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મંગળવારે કોરોનાના વધુ ૧,૩૨,૭૮૮ કેસ નોંધાયા છે, જ્યારે ૩,૨૦૭ દર્દીઓએ એક દિવસમાં જીવ ગુમાવ્યો છે. આ પહેલા સોમવારે નવા કેસની સંખ્યા ૧.૨૭ લાખ રહી હતી અને મૃત્યુઆંક ૨,૭૯૫ નોંધાયો હતો.
૨૪ કલાકમાં વધુ ૨,૩૧,૪૫૬ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે, આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૬૧,૭૯,૦૮૫ પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવાથી અને નવા કેસમાં ઘટાડો થતા એક્ટિવ કેસનો આંકડો પણ નીચો આવી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં હાલ ૧૭,૯૩,૬૪૫ એક્ટિવ કેસ છે.
૨૪ કલાકમાં દેશમાં વધુ ૧.૩૨ નવા કેસ નોંધાતા ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૮૩,૦૭,૮૩૨ થઈ ગઈ છે. વધુ ૩.૨૦૭ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક વધીને ૩,૩૫,૧૦૨ થઈ ગયો છે.૧૬ જાન્યુઆરીએ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન શરુ થયું હતું જેમાં મંગવાર સુધીમાં કુલ ૨૧,૮૫,૪૬,૬૬૭ ડોઝ આપવામાં આવ્યા છે. આઇસીએમઆર મુજબ દેશમાં કોરોના ટેસ્ટ માટે કુલ ૩૫,૦૦,૫૭,૩૩૦ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં મંગળવારે ૨૦,૧૯,૭૭૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૩ એપ્રિલના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી.

Previous articleટાઈમટેબલ જાહેર કર્યાના ૨૪ કલાકમાં જ ધો.૧૨ની પરીક્ષા રદ
Next articleગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયીઃ ૮ના મોત