ભાવનગર રેલવે મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

606

૫ જૂને ઉજવાતા આ જાગૃતિ અભિયાન પ્રકૃતિને બચાવવા માટે યોગ્ય વિચારસરણીનો વિકાસ કરે છે. ભારતીય રેલવે પરિવહનના પર્યાવરણને અનુકૂળ માધ્યમ છે. ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષા એ ભારતીય રેલવેનો મુખ્ય એજન્ડા છે. પર્યાવરણની સુરક્ષા માટે ભાવનગર મંડળ ઉપર ઘણા કામો કરવામાં આવ્યા છે જેમ કે સ્ટેશન પર પાણીનું જતન, નક્કર કચરાનું સંચાલન, રેલવે કોચમાં બાયો ટોઇલેટ લગાવવા, સ્ટેશનો અને કચેરીઓમાં સોલાર પ્લાન્ટ અને એલઇડી લાઇટનો ઉપયોગ કરવો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર રેલવે મંડળમાં ૦૫ જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ -૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને ડીવિજનલ રેલ્વે મેનેજર પ્રતીક ગોસ્વામી અને એડિશનલ ડીવિજનલ રેલ્વે મેનેજર સુનિલ આર. બારાપત્રે સાથે મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતપોતાના નિવાસોમાં વૃક્ષો રોપ્યા હતા. આ વક્ષો વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદગાર સાબિત થશે. મંડળ ઉપર વિવિધ પ્રકારના વૃક્ષો જેવાકે આંબો, લીમડો, ચીકુ, સીતાફળ, નારંગી, લીંબુ વગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. મંડળ પર પર્યાવરણ બચાવવા સંબંધિત ગ્રીન પેચ, ડ્રોઇંગ અને એક લાઇન સ્લોગન લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. વેબિનાર દ્વારા વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. ડીવિજનલ રેલ્વે મેનેજરે તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. મંડળના સ્ટેશનો ભાવનગર ટર્મિનસ, વેરાવળ, પોરબંદર, જુનાગઢ, જેતલસર, બોટાદ, સોમનાથ, ગોંડલ, જાલિયા, મહુવા વગેરે પર સ્ટેશનોને લીલાછમ રાખવા માટે ત્યાંના સ્ટેશન અધીક્ષક / સુપરવાઈઝરની દેખરેખ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Previous articleભાવનગર શહેર અને જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
Next articleભાવનગર શહેરમાં મોડીરાત્રે જોરદાર વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી