કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ૬ મોબાઈલ પશુ વાનનું લોકાર્પણ કરાયું

565

ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે ૬ પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ એ.પી.એમ.સી., મહુવા ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ ૬ મોબાઇલ એમ્બ્યુલન્સ વાન ભાવનગર જિલ્લાના ૬ તાલુકાઓમાં ફાળવવામાં આવેલ છે. જે પૈકી મહુવા તાલુકાના અમૃતવેલ ગામ ખાતે, તળાજા તાલુકાના જસપરા ગામ ખાતે, પાલીતાણા તાલુકાના નોંધણવદર ગામ ખાતે, ગારીયાધાર તાલુકાના ગણેશગઢ ગામ ખાતે, વલ્લભીપુર તાલુકાના રતનપર-ગાયકવાડ ગામ ખાતે અને ઘોઘા તાલુકાના તણસા ગામ ખાતે પશુપાલકોના પશુઓની સારવાર માટે ફાળવવામાં આવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારના પશુપાલન વિભાગના માધ્યમથી રાજ્યનાં તમામ પશુઓને ચિકિત્સા ક્ષેત્રે કામગીરીના ભાગરૂપે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ૧૦ ગામ દિઠ ક્લસ્ટર મુજબ ૧ એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે. ૧૦૮ની સેવા શરૂ કરી હતી તે જ પ્રણાલીને આગળ વધારી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ માનવીની જેમ જ પશુઓની પણ દરકાર લીધી છે. પશુ ચિકિત્સા રથ કહી શકાય એવું આ ફરતું દવાખાનું ફાળવવામાં આવેલા ગામોમાં ૧૯૬૨ નંબર પર કોલ કરવાથી સેવા આપશે. હાલ જિલ્લામાં કુલ ૨૫ ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવતાં જિલ્લાના કુલ ૨૫૦ ગામોના પશુપાલકોના પશુઓની વિનામૂલ્યે અને ઘેર બેઠાં આરોગ્ય સંભાળ લેશે. ૧૯૬૨ ના વાહનોમાં જીપીએસ લગાવેલું હોવાથી, આ સેવાનું સી.એમ.ડેસ્ક બોર્ડ થી રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. આ મોબાઇલ એનિમલ હોસ્પીટલમાં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહ મદદનીશ સેવાઓ આપશે.સવારના ૭ વાગ્યા થી સાંજના ૭ વાગ્યા સુધી ૧૯૬૨ પર કોલ કરીને જે તે વિસ્તારના પશુપાલકો પશુ સારવાર સેવા લઈ શકશે.રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી તાલીમ “મૈત્રી” ની તાલીમ લેનાર ૧૦ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ તાલીમાર્થીઓ કુત્રિમ બીજદાનનાં માધ્યમથી પશુમાં દૂધની ક્વોલિટીમાં વધારો તેમજ પશુઓ સારી ઓલાદ આપે તે માટે રાજ્ય સરકારનાં સહયોગથી આ તાલીમ અમલમાં મુકવામાં આવી છે.
આ પ્રસંગે મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા, ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, પશુપાલન સચિવ નાલિનભાઈ ઉપાધ્યાય, પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનીબેન, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઝગડો નહીં કરવા સમજાવવા ગયેલ યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજા
Next articleભાવનગરમાં સૌ-પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થા દ્વારા કોરોના રસી કેમ્પનું આયોજન કરાયું