ભાવનગર જિલ્લામાં ૮૦ ટકા વાવણી કાર્ય પૂર્ણ

479

ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૧ નું ચોમાસું શરૂ થઈ ગયું છે અને જિલ્લામાં ધરતીપુત્રો એ પ્રથમ તબ્બકકા માં સરેરાંશ ૮૦ ટકાથી વધુ વાવેતર કાર્ય પૂર્ણ કર્યું હોવાનું જિલ્લા ખેતીવાડી કેન્દ્ર કચેરીએ થી જાણવા મળ્યું છે આ વર્ષે અપેક્ષાકૃત વરસાદ વરસતા વર્ષ સોળ આની થવાની શક્યતા પ્રબળ બની રહી છે.ભાવનગર જિલ્લા ખેતી નિયામક કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર વર્ષ ૨૦૨૧નું ચોમાસું ગત ૭ વર્ષનાં ચોમાસામાં સૌથી શ્રેષ્ઠ સાબિત થાય એવાં ઉઝળા સંજોગો નું નિર્માણ થયું છે પૂર્વ અનુમાન કરતાં વહેલું ચોમાસું બેઠું છે અને છેલ્લા દોઢ મહિનામાં વાવણી લાયક વરસાદ વાવણી બાદ ની જરૂરિયાત નો વરસાદ અને હાલમાં પાક માટે અતિ અનુકૂળ એવી વરાપ આ તમામ તબ્બકકાઓ સારા માં સારા કૃષિ ઉત્પાદન માટે હોવાનું અનુભવી ખેડૂતો જણાવી રહ્યાં છે ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે ચોમાસું પાક એટલાં માટે મહત્વપૂર્ણ ગણાય છે કે ચોમાસાને બાદ કરતાં આઠ માસ જિલ્લા માં આવેલી ખેતી લાયક જમીનો બીન ખેતી તરીકે પડતર પડી રહે છે પિયત માટે યોગ્ય સવલતો ઉપલબ્ધ ન હોવાના કારણે ખરીફ સિઝન સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે ખેડૂતો ની બારમાસી આવકનો એક માત્ર મુખ્ય સ્ત્રોત ખરીફ સિઝનનુ વાવેતર છે આથી જો ચોમાસામાં ખેડૂતો ધારણા મુજબ ઉત્પાદન મેળવે તો બાકી બચતા આઠ માસ ખેડૂતો નિશ્ચિત બનીને પસાર કરી શકે છે. ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, જેસર, પાલિતાણા તાલુકો બારમાસી ખેતી માટે પ્રખ્યાત છે જયારે વલ્લભીપુર, ગારિયાધાર, સિહોર સહિતના તાલુકાના ખેડૂતો માટે ચોમાસું જ મહત્વપૂર્ણ ગણાય છે આ તાલુકામાં આજની તારીખે પણ ચોમાસાના ચાર મહિના બાદ કરતાં પિયત માટે પર્યાપ્ત વ્યવસ્થા ઓ ઉપલબ્ધ નથી આ વર્ષે અનુભવી ખેડૂતો એ પાકની પેટર્ન બદલી છે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસું મોલાતમા કપાસના વાવેતર નો દબદબો યથાવત રહેતો હતો પરંતુ આ વર્ષે ખેડૂતોએ કપાસ ના સ્થાને બે વર્ષ પૂર્વે આવેલી મગફળી ની સુધારેલી આવૃત્તિ (નવું બિયારણ) ની પસંદગી કરી રહ્યાં છે બીજા ક્રમે કપાસ ત્રીજા ક્રમે બાજરી ચોથા ક્રમે તેલીબિયાં અને ત્યારબાદ શાકભાજી-પશુ ચારાનો સમાવેશ થાય છે મોટા ભાગે ખેડૂતો દર વર્ષે પાકની પેટર્ન બદલતા હોય છે પરંતુ આ વર્ષે જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો એ પ્રથમ વાવેતર તરીકે મગફળી ની પસંદગી કરી છે આ પસંદગી પાછળ પણ અનેક કારણો છે જેમાં મુખ્ય બાબત એવી ચર્ચાઈ રહી છે કે મગફળી ના પાકનું સારું એવું વળતર મળી રહ્યું છે ઓછા ગાળામાં પાક તૈયાર થઈ જાય છે અને માંગ પણ વધતા મગફળી ના ઊંચા મોલ તરફ ખેડૂતો આકર્ષિત થઈ રહ્યાં છે અને કપાસ ની પસંદગી બીજા ક્રમે રાખવામાં ખેડૂતો જણાવે છે કે કપાસની ખેતી દિન-પ્રતિદિન ખર્ચાળ સાબિત થઈ રહી છે અને ઉત્પાદન-ઉતારો ઓછો થઈ રહ્યો છે તથા આ મોલ લાંબા સમય સુધી જમીન રોકી રાખે છે એટલે અન્ય મોલ ખેડૂતો નથી ઉગાડી શકતા હાલમાં ચોમાસાના પ્રારંભે નોંધપાત્ર વરસાદ પડ્યો છે આથી ૮૦ ટકાથી વધુ વિસ્તારોમાં વાવેતર કાર્ય પુરૂ થયું છે. આ ચોમાસામાં આ પ્રકારે જો સાનુકૂળતા યથાવત રહેશે તો આ વર્ષ સોળ આની ચોક્કસ થશે એવો આશાવાદ ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યાં છે.

Previous articleબેલડા પ્રા.શાળામાં શ્રી સૂરજબા રંગમંચનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Next articleએક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોતાને આપી મોંઘી ગિફ્ટ