ભાવનગર જિલ્લામાં આવેલા મોટાભાગના જળાશયો છલોછલ, દોઢ વર્ષ સુધી પાણીની સમસ્યા હલ

403

૧૨ જેટલા નાના-મોટા ડેમોમાં ૯૫ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ
ભાવનગર જિલ્લામાં આવેલા ૧૨ જેટલાં જળાશયો હાલમાં છલક સપાટી એ છે આથી ખેત સિંચાઈને લગતો મહત્વનો પ્રશ્ન એક વર્ષ માટે સોલ્વ થઈ ગયો છે તો બીજી તરફ શેત્રુંજી ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાનાં કારણે ત્રણ તાલુકા તથા ભાવનગર શહેર માટે પીવાનાં પાણીની વિશાળ જળરાશી ઉપલબ્ધ છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા બીજા ક્રમનો જળસંગ્રહ માટેનો ડેમ શેત્રુંજી ડેમ હાલમાં ૯૮ ટકા જેટલો ભરેલો છે. ડેમ સત્તાવાળ તંત્રના જણાવ્યા અનુસાર આ વર્ષ કદાચ વરસાદ ન પડે તો ભાવનગર શહેર-જિલ્લાને આગામી દોઢ વર્ષ સુધી પિવાનુ તથા ખેત સિંચાઈ માટે પાણી આપી શકાય એવી વ્યવસ્થા છે. જો માત્ર વાત પિવાના પાણીની જ કરીએ તો ભાવનગર સહિત ત્રણ તાલુકાને દોઢથી બે વર્ષ પીવાનું પાણી આસાનીથી પુરૂ પાડી શકાય તેમ છે. શેત્રુંજી ડેમ સહિત જિલ્લામાં કુલ ૧૨ જેટલાં નાનાં મોટાં ડેમો આવેલાં છે, હાલમાં મોટાભાગના ડેમ ફલક સપાટીએ હોવાનું સરકારી તંત્ર દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ પડ્યો હતો પરિણામે તમામ જળાશયો છલકાઈ ગયાં હતાં, એ પાણી હતું એ દરમ્યાન આ વર્ષે ઉનાળાના અંતે તાઉતે વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ થયો હતો. જેને પગલે ચોમાસા પૂર્વે જ તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ ગઈ હતી અને ચોમાસાના પ્રથમ બે સપ્તાહ દરમ્યાન મંદ ગતિએ પાણીની આવક અકબંધ રહેતા તમામ જળાશયો હાલમાં ફલક સપાટીએ છે. ચોમાસું બાકી હોવાનાં કારણે જળ સપાટી યોગ્ય લેવલે જાળવી રાખવા માટે મહદઅંશે જળાશયોમાંથી પાણી સમય સમયાંતરે છોડવામાં આવી રહ્યું છે. આથી આવનાર દિવસોમાં કદાચ વરસાદ ન થાય તો પણ ખેત સિંચાઈ માટે પાણી કેનાલોમા છોડી ખરીફ પાકોનું વાવેતર બચાવી શકાશે.
ભાવનગર જિલ્લામાં આવેલા નાના-મોટા ૧૨ ડેમોની સપાટીઓના આંકડાઓ
તાલુકો ડેમનું નામ હાલની ઓવરફલો
સપાટી(મી) સપાટી(મી)
પાલીતાણા\ શેત્રુંજી ૫૪.૩૨ ૫૫.૫૩
પાલીતાણા રજાવળ ૫૩.૮ ૫૬.૭૫
પાલીતાણા ખારો ૫૩.૫ ૫૪.૧૨
મહુવા માલણ ૧૦૧.૯૮ ૧૦૪.૨૫
ઉમરાળા રંધોળા ૬૦.૭૭ ૬૨.૫
ભાવનગર લખાણકા ૪૦.૭ ૪૪.૨૨
તળાજા હમીરપરા ૮૧.૮ ૮૭.૮
પાલીતાણા હણોલ ૮૯.૦૫ ૯૦.૧
મહુવા રોજકી ૯૭.૧૬ ૯૯.૦૬
તળાજા જસપરા(માં) ૩૧.૧૫ ૪૦.૨૫
તળાજા પીંગળી ૫૦.૭ ૫૧.૩

Previous articleશહેરમાં અષાઢે શ્રાવેણી સરવડા
Next articleજીવલેણ હુમલા કેસમાં પાલીતાણાનાં શખ્સને ૧૦ વર્ષની સજા ફટકારાઈ