આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીને બ્લેક ફંગસનો ચેપ લાગ્યો

364

દર પ્રતિ એક હજાર વ્યક્તિએ ૦.૨ ટકા, જેની સાથે ગુજરાતનો દર ૧.૩ ટકા છે
(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
બીજી લહેર દરમિયાન રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસનું સંક્રમણ ભયાનક રીતે ફાટી નીકળતાં ઘણાને હજી પણ તેના દુઃસ્વપ્નો આવતા હશે. કોરોના થયા પછી માંડ કરીને જીવ બચે ત્યારે બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકોરમાઇકોસિસનાં સંક્રમણથી અનેક લોકોને પોતાના જડબા, આંખ, નાક જેવા અંગો ગુમાવવાનો વારો આવ્યો છે તો કેટલાય લોકોએ આ ફૂગને કારણે જીવ ગુમાવ્યો છે. ૨૦મી જુલાઈએ રાજ્યસભામાં રજૂ કરેલા ડેટામાં જાણવા મળ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ પછી મ્યુકોરમાઇકોસિસ સંક્રમણના કુલ ૪૫,૩૭૪ કેસ નોંધાયા છે, જેમાંથી ૩૫% એકલા મહારાષ્ટ્ર (૯,૩૪૮) અને ગુજરાત (૬,૭૩૧) માંથી નોંધાયા છે. જે પૈકી મહારાષ્ટ્રમાં ૧,૧૨૯ દર્દીના મોત પછી ૬૫૬ દર્દીઓના મોત સાથે ગુજરાત સમગ્ર ભારતના ૧૫ ટકા મૃત્યુઆંકમાં બીજા ક્રમે છે.
મ્યુકોરમાઇકોસિસ સિવાયના કોવિડ -૧૯ કેસોના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં ’બ્લેક ફંગસ’નું વ્યાપક સંક્રમણ નોંધાયું છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે એપ્રિલ ૧ થી ૩૦ જૂન દરમિયાન ગુજરાતમાં ૫.૧૫ લાખ કોવિડ -૧૯ કેસ નોંધાયા છે. એટલે કે આ પૈકી ૧.૩ ટકા લોકોને કોરોના પછી મ્યુકોરમાઈકોસિસનું સંક્રમણ થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં દર ૧૦૦૦ કોવિડ -૧૯ દર્દીઓમાંથી ૧૩ દર્દીઓને બ્લેક ફંગસનો ચેપ લાગ્યો છે. આ સંખ્યા મહારાષ્ટ્રની તુલનામાં ટકાવારીની દ્રષ્ટીએ ઘણી વધારે છે જ્યાં બ્લેક ફંગોસનો વ્યાપ ૦.૩% પ્રતિ ૧,૦૦૦ કેસોમાં ૩ હતો, અને રાષ્ટ્રીય સરેરાશ ૦.૨% પ્રતિ ૧,૦૦૦ કેસોમાં ૨ લોકોને બ્લેક ફંગસનું સંક્રમણ નોંધાયું છે. રાજ્યસભાના ડેટામાં જણાવાયું છે કે ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસનો મૃત્યુ દર ૯.૭ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૯.૫ ટકાની સરખામણીએ વધુ છે. જ્યારે બ્લેક ફંગસના કેસમાં રાજ્યનો રિકવરી રેટ ૬૮% જેટલો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડેટામાં સમયગાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં ૮૦૦ સક્રિય કેસ જોવા મળ્યા, જે ગુરુવારે સવારે ૧૦૦ થી ઓછા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં, જે ગુજરાતમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસ કેસ ધરાવે છે, ત્યાં લગભગ ૨૦ સક્રિય દર્દીઓ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જોકે અમને સર્જરી થઈ ગઈ હોય તે દર્દીની પણ ફરી સર્જરી કરવી પડે તેવો દરરોજ ઓછામાં ઓછો એક કેસ મળી રહ્યો છે. જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ફરી સર્જરી માટે અમદાવાદ આવે છે.

Previous articleસોમનાથ મહાદેવ મંદિરમાં દર મહિને સોશિયલ મિડિયા પર ૬.૫૦ કરોડ મુલાકાતીઓ દર્શન કરે છે
Next articleઆનંદોઃ રાજકોટ-ગોવા ફ્લાઇટ ઓગસ્ટ માસમાં તમામ દિવસે ઉડાન ભરશે