આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો શરૂ કરવા વિચારણાઃ શિક્ષણમંત્રી

409

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૬
સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ ૯થી ૧૧ના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેત આપ્યા છે. અમદાવાદના એનસીસી હેડક્વાર્ટર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ‘કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ ૯થી ૧૧ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે. જ્યાર બાદ વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે. જો કે બાળકોએ શાળાએ આવવું ફરજીયાત નથી. બીજી તરફ શાળાઓએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણપ્રધાને જણાવ્યું. ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફ સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ ૬થી ૮ ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. ૧૫ ઓગસ્ટ બાદ ધોરણ ૧થી ૫ શરૂ કરવા બાબતે પણ સરકાર વિચારણા કરશે. ૫૦ ટકા કેપિસિટી સાથે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. જો કે તમને જણાવી દઇએ કે, સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.

Previous articleઅમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા
Next articleઆલિયા કશ્યપએ પિતા અનુરાગને પૂછ્યા બોયફ્રેન્ડ, સેક્સ અને ડ્રગ્સ અંગે સવાલ, થઈ ટ્રોલ