કેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરી રહ્યા છેઃ મોદી

629

ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની જીતના બહાને વિપક્ષ પર વરસ્યા વડાપ્રધાન, નવું ભારત પદ નહીં પદક જીતીને દુનિયામાં છવાઇ રહ્યું છે :૫ ઓગસ્ટને યાદ રાખશે દેશ, પહેલા ૩૭૦ હટી-મંદિર નિર્માણ શરૂ થયુ અને હવે મળ્યો મેડલ
ન્યુ દિલ્હી,તા.૫
આજના દિવસે દેશને મળેલી કેટલીક ઉપલબ્ધીઓની વાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટના મહત્વ અને આજે બનેલી ઘટનાઓ વિશે વાત કરી છે. અયોધ્યામાં બની રહેલી રામ મંદીરના ભૂમિ પૂજનની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અન્ન યોજના દ્વારા લાભાર્થીઓને મદદ કરવાની વાત કરી છે. આ દરમિયાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે વાત પણ કરી. વડાપ્રધાને ૫ ઓગસ્ટને ખાસ દિવસ ગણાવીને કહ્યું છે કે, આ દિવસે ૨ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કરી, પાછલા વર્ષે રામ મંદિરી ભૂમિ પૂજન થયું અને આજે ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ૪૧ વર્ષ પછી મેડલ જીત્યો છે. વડાપ્રધાને વિપક્ષને નિશાના પર લઈને કહ્યું કે, કેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરવામાં જોડાયેલા છે. મોદીએ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીને કહ્યું, “૫ ઓગસ્ટની તારીખ ઘણી જ વિશેષ છે. ૫ ઓગસ્ટ જ છે, જ્યારે ૨ વર્ષ પહેલા આર્ટિકલ ૩૭૦ હટાવીને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકોને દરેક અધિકાર, દરેક સુવિધાના સંપૂર્ણ ભાગીદાર બનાવ્યા હતા.” વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ જ ૫ ઓગસ્ટ છે, જ્યારે ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પહેલું પગલું રખાયું. આજ અયોધ્યામાં ઝડપથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.” તેમણે કહ્યું, “આજે ૫ ઓગસ્ટની તારીખ, ફરી એકવાર આપણા બધા માટે ઉત્સાહ અને ઉમંગને લઈને આવી છે. આજે જ ઓલિમ્પિકના મેદાન પર દેશના યુવાનોએ હોકીના પોતાના ગૌરવને ફરી સ્થાપિત કરીને લાંબી છલાંગ લગાવી છે.” વિપક્ષ પર કટાક્ષ કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું, “એક તરફ આપણો દેશ, આપણા યુવાનો ભારત માટે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, જીતનો ગોલ કરી રહ્યા છે ત્યારે કેટલાક એવા લોકો પણ છે કે જેઓ રાજકારણના સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરવામાં લાગ્યા છે. દેશ શું ઈચ્છે છે, દેશ શું મેળવી રહ્યો છે, દેશમાં કેવો બદલાવ આવ્યો છે, તેનાથી તેમને કોઈ મતલબ નથી.” વડાપ્રધાન મોદીએ કહ્યું, “નવું ભારત, પદ નહીં પદક (મેડલ) જીતીને દુનિયામાં છવાઈ રહ્યું છે. નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર નથી, પરંતુ પરિશ્રમથી નક્કી થાય છે.” તેમણે આગળ કહ્યું, “પાછલા દાયકામાં ઉત્તર પ્રદેશને હંમેશા રાજકીય ચશ્મામાં જોવામાં આવતું હતું. યુપી દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તેની ચર્ચા જ ના થવા દેવાઈ. પીએમ મોદીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં જે પાછલા ૭૦ વર્ષમાં નથી થઈ શક્યું તે હવે પ્રાપ્ત કરી શકાશે. આ દાયકો વિતેલા ૭૦ વર્ષમાં જે પ્રાપ્ત નથી થયું તેને પૂર્ણ કરવાનો છે. આ કામ દલિતો, મહિલાઓ અને તરછોડાયેલા લોકોની ભાગદારી વગર સંભવ નથી. યુપીને હવે મોટા ફાયદા મળશે અને એન્જીનિયરિંગનો અભ્સ હિન્દી સહિત અનેક ભાષાઓમાં શક્ય બનશે આનાથી યુપીના વિદ્યાર્થીઓને લાભ થશે. યુપીની પ્રશંસા કરીને વડાપ્રધાન મોદી બોલ્યા, “યુપી પહેલું રાજ્ય બન્યું છે જ્યાં ૫ કરોડ લોકોએ વેક્સીન લીધી છે. મેડ ઈન ઈન્ડિયા વેક્સીનને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ લોકોએ તેને ખોટી સાબિત કરીને ડોઝ લીધા છે.” આ સાથે તેમણે મોટી જાહેરાત કરીને કહ્યું કે, દિવાળી સુધી ગરીબોને મફત અનાજ આપવામાં આવશે.

Previous articleસીમા વિવાદઃ તણાવ ઓછો કરવા પર અસમ-મિઝોરમ વચ્ચે બની સંમતિ
Next articleઆજે ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાશે