કોવિશિલ્ડ લેનારને એન્ટ્રી માટે યુકેની મંજૂરી, સર્ટિફિકેટ પર સવાલ

106

કોવિશિલ્ડને માન્યતા પર ભારતના વિરોધ બાદ યુકે ઝૂક્યું : કોવિશિલ્ડને મંજૂરી છતાં ભારતમાં વેક્સિનના બંને ડોઝ લેનારાને પણ યુકેમાં ક્વોરન્ટાઈન થવું પડશે, સર્ટિફિકેટને લઈને ભારત સાથે વાતચીત જારી
નવી દિલ્હી,તા.૨૨
ભારે વિવાદ બાદ યુકેએ કોવિશિલ્ડ વેક્સિન લેનારાને દેશમાં એન્ટ્રી આપવાની મંજૂરી આપી દીધી છે. જોકે, તેનાથી હાલ ભારતીયોને ક્વોરન્ટાઈન થવામાંથી કોઈ રાહત નહીં મળે. કારણકે, યુકેએ ભારતમાં અપાતા વેક્સિન સર્ટિ. સામે કેટલાક સવાલ કર્યા છે. જેના કારણે, ભારતમાં વેક્સિનના બંને ડોઝ લેનારાને પણ યુકેમાં ક્વોરન્ટાઈન થવું પડશે. યુકેમાં ૦૪ ઓક્ટોબરથી નવા નિયમો અમલી બની રહ્યા છે. જેમાં અગાઉ કોવિશિલ્ડ વેક્સિન લેનારા માટે પણ ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવાનું ફરજિયાત કરાતા ભારતે તેના પર જોરદાર આપત્તિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ યુકેએ નિયમોમાં ફેરફાર કરી કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી હતી. જોકે, હવે તેણે વેક્સિન સર્ટિ. પર શંકા વ્યક્ત કરી છે. બ્રિટિશ સરકારની વેબસાઈટ પર બુધવારે પ્રસિદ્ધ કરાયેલી માહિતી અનુસાર, કોવિશિલ્ડને સ્વીકાર્ય વેક્સિનની યાદીમાં ઉમેરી દેવાઈ છે. જોકે, દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈ કમિશને આ સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં અપાયેલા વેક્સિન સર્ટિને કઈ રીતે માન્યતા આપી શકાય તે માટે યુકે ભારત સરકાર સાથે વાત કરી રહ્યું છે. યુકેની સરકારી વેબસાઈટ અનુસાર, ૪ ઓક્ટોબરથી ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકા, ફાઈઝર, મોડેર્ના વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને ફુલ્લી વેક્સિનેટેડ ગણીને તેમને યુકેમાં પ્રવેશ આપવામાં આવશે. આવા લોકોને ક્વોરન્ટાઈનમાં પણ નહીં રહેવું પડે. આવા દેશોમાં ઓસ્ટ્રરેલિયા, બરમુડા, બાર્બાડોઝ, બહેરિન, બ્રુનેઈ, કેનેડા, ડોમિનિકા, ઈઝરાયેલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, કતાર, સાઉદી, સિંગાપોર, સાઉથ કોરિયા અને તાઈવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં સેકન્ડ વેવ શરુ થયો તે સમયે ૨૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ યુકેએ તેને રેડ લિસ્ટમાં મૂકી દીધું હતું. જેના પરિણામે ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ભારતમાંથી આવનારા માત્ર બ્રિટિશ નાગરિકોને જ એન્ટ્રી અપાતી હતી, અને તેમના માટે પણ ક્વોરન્ટાઈન હોટેલમાં ૧૦ દિવસ રહેવું ફરજિયા હતું. ૮ ઓગસ્ટે બ્રિટને ભારતને રેડ લિસ્ટમાંથી હટાવી અમ્બર લિસ્ટમાં મૂક્યું હતું. જેમાં ભારતીયોને એન્ટ્રી મળતી હતી, પરંતુ તેમના માટે ૧૦ દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત હતું. જો યુકેમાં ભારત સરકાર દ્વારા ઈશ્યૂ કરાયેલા વેક્સિન સર્ટિ.ને પણ માન્યતા મળી જાય તો કોવિશિલ્ડના બંને ડોઝ લેનારા વ્યક્તિને યુકે પહોંચી ક્વોરન્ટાઈન થવાની કોઈ જરુર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, કોવિશિલ્ડ વેક્સિન યુકેની જ ઓક્સફોર્ડ યુનિ.એ એસ્ટ્રાજેનેકા નામની કંપની સાથે મળીને વિકસાવી છે. જેનું ઉત્પાદન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ યુકેએ અગાઉ તેને જ માન્યતા ના આપતા ભારતે સખ્ત શબ્દોમાં વાંધો વ્યક્ત કર્યો હતો.

Previous articleસેન્સેક્સમાં ૭૮ અને નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનું સામાન્ય ગાબડું
Next articleરોડ પર બેશુદ્ધ થયેલા બાઈક સવાર પાસેથી મળી આવેલો 2 લાખનો મુદ્દામાલ 108ના સ્ટાફ દ્વારા દર્દીના પરિવારજનોને પરત કરાયો