બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધોળાપુલ ઉપર એસ.ટી.બસ અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ધોરણ-૧૦માંનું ફોર્મ ભરવા માટે રાણપુર આવ્યો હતો અને ફોર્મ ભરીને પરત ઉમરાળા જતો હતો ત્યારે રાણપુર બાજુથી પાળીયાદ ત્રણ રસ્તા તરફ જઈ રહેલા મોટરસાઈકલ સામે આવતી જસદણ-અમદાવાદ એસ.ટી.બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટરસાઈકલમાં બે યુવકો સવાર હતા જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજા યુવકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે મળતી માહીતી મુજબ મૃતક બાઈક ચાલક રાણપુર તાલુકાના ઉમરાળા ગામનો અનીલભાઈ એભલભાઈ સરવૈયા (ઉં.૧૭) હોવાનું ખુલ્યું હતું. આ અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતને લઈને પુલ ઉપર વાહનોનો ટ્રાફીક જામ થયો હતો. પોલીસે ભારે મહેનતે ટ્રાફીક દુર કર્યો હતો.