નવા ભારતના વિકાસની ગાડી બે પાટા પર ચાલશેઃ મોદી

149

વડાપ્રધાને ગાંધીનગરમાં આવેલ રેલ્વે સ્ટેશન,૫ સ્ટાર હોટલ અને અમદાવાદ ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરીનું લોકાર્પણ કર્યું : ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખાને ભાંગશે ગાંધીનગર રેલવે સ્ટેશન : વડનગરથી વારાણસી સુપરફાસ્ટ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો
(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા ૫ સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું છે. ઁસ્ મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ પ્રસંગે દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, રાજ્યના ચિફ સેકેટરી અનિલ મુકિમ તેમજ દર્શનાબેન જરદોશ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં. પીએમે પોતાના ભાષણની શરુઆત કરતા ગુજરાતીમાં ’બધા મજામાં..’થી કરી હતી. પીએમે ગાંધીનગરથી જ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આ તમામ સ્થળોને નિહાળવા માટે ઉત્સુક છે. પીએમે જણાવ્યું હતું કે, સારા જાહેર સ્થળો ખૂબ જ જરુરી છે, જેના વિશે ભૂતકાળમાં કોઈ વિચાર નહોતો થયો. ભૂતકાળમાં શહેરી આયોજનને લક્ઝરી માનવામાં આવતું હતું, જેના કારણે લોકોને સારી જાહેર જગ્યાઓથી વંચિત રહેવું પડતું હતું. સાબરમતી નદીનો ખાસ ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે પહેલા સાબરમતી કેવી હતી તે કોઈ ભૂલી શકે તેમ નથી. પરંતુ હવે રિવરફ્રંટ, પાર્ક તેમજ સી-પ્લેનથી તેનું સ્વરુપ જ બદલાઈ ગયું છે. તેવું જ કાંકરિયા વિશે પણ કહી શકાય. સાયન્સ સિટી વિશે પીએમે જણાવ્યું હતું કે રોબોટ્‌સ અને ડાયનોસોરના રમકડાં માગતા બાળકો હવે તેમને સાયન્સ સિટીમાં જોઈને રાજી થશે. તેની એક્વેટિક ગેલેરી એશિયાના સૌથી ટોચના એક્વેરિયમમાં સામેલ છે. સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી જોઈને વિદ્યાર્થીઓ રોબોટિક્સનો અભ્યાસ કરવા માટે પ્રેરાશે. પીએમે જણાવ્યું હતું કે જ્યારે તેમણે રોબોટિક્સ ગેલેરીના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આ સ્થળ ભારતમાં આવેલું છે. તેમણે સ્ટૂડન્ટ્‌સને તેની મુલાકાત લેવા ખાસ અપીલ કરી હતી અને સ્કૂલોને પણ વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવા જણાવ્યું હતું. દેશભરમાં રેલ કનેક્ટિવિટી આજે મજબૂત બની હોવાનું જણાવતા પીએમે કહ્યું હતું કે ગાંધીનગર-વારાણસી વચ્ચે ટ્રેન શરુ થવાથી સોમનાથ અને વિશ્વનાથની ભૂમિ એકબીજા સાથે જોડાઈ છે. સરકાર રેલવેને માત્ર એક સેવા તરીકે નહીં પરંતુ સંપત્તિ તરીકે વિકસાવી રહ્યા છીએ. આવનરા દિવસોમાં ફ્રેઈટ કોરિડોર કાર્યરત બનશે અને તેનાથી માલગાડીઓની સ્પીડ પણ વધશે. દેશના દરેક મોટા શહેરોના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવશે. પીએમે કહ્યું હતું કે રેલવેએ વિસ્તરણની નીતિ બદલવી જોઈએ અને ગાંધીનગર તેનું મોટું ઉદાહરણ છે. રેલવે સ્ટેશનોનો આર્થિક ગતિવિધિ માટે ઉપયોગ કેમ ન થઈ શકે? તેવો સવાલ કરતા પીએમે જણાવ્યું હતું કે ગાંધીનગર રેલવે સ્ટેશનને એક મોડેલ બનાવી તેને અન્ય શહેરોમાં લાગુ કરવા પણ સરકાર પ્રયાસ કરી રહી છે. દેશ પાસે આટલું મોટું રેલવે નેટવર્ક છે, આટલા સ્રોત છે અને સુદ્રઢ સેવા આપવાની તેની પાસે રહેલી તકો પણ અમર્યાદિત છે. પીએમે એમ પણ કહ્યું હતું કે ખૂબ જલ્દી શ્રીનગર પણ કન્યાકુમારી સાથે રેલવે માર્ગે જોડાઈ જશે. પીએમે પોતાના બાળપણને યાદ કરતા વડનગર સ્ટેશન સાથે પોતાની અનેક યાદો જોડાયેલી હોવાનું પણ કહ્યું હતું. પોતાના ભાષણના અંતમાં પીએમે જણાવ્યું હતું કે કોરોનાએ સમગ્ર દેશને અસર કરી છે, અને આપણા ઘણા સાથીઓ તેના ભોગ બન્યા છે. આપણે તેનાથી સાવધાન અને સાવચેત રહેવાની જરુર છે. ગુજરાતમાં ત્રણ કરોડથી વધુ લોકોને રસી આપી દેવાઈ હોવાની વાત પર પણ પીએમે ખુશી વ્યક્ત કરી હતી.

Previous articleકોરોનાની ત્રીજી-લહેર બીજી કરતાં ઓછી તીવ્ર હશેઃ આઇસીએમઆર
Next articleકૂવો ધસી પડતાં ૪૦ લોકો પડ્યા, ચારનાં મોત થયા : અનેક ફસાયા