ગુજરાતમાં વરસાદની આગાહી

183

ગુલાબ વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું અને હવે અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. જો કે ગુલાબ વાવાઝોડં ભલે નબળું પડ્યુ હોય, પણ ગુજરાત પર હવે નવા વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. આગામી ૨૪ કલાકમાં ગુજરાત પર શાહીન વાવાઝોડાની અસર દેખાશે, જે ગુલાબ વાવાઝોડાની જ પોસ્ટ ઈફેક્ટ હોવાનું હવામાન વિભાગનું કહેવુ છે. આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાએ જણાવ્યું કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું શાહીન સર્જાઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું ઉઠી રહ્યુ છે. જોકે, આ સાયક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરેબિયન સીમા તેની અસર જોવા મળશે. આ અરબી સમુદ્રમાં વાવાઝોડું હાલ ડિપ ડિપ્રેશનમાં છે, જે ૬ કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. શાહીનની અસરથી ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે ગુજરાતમાં વાવાઝોડાની અસર વિશે વધુમાં જણાવ્યું કે, આગામી ૨૪ કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો ગુજરાતના કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી ૬૦ કિમીની ઝડપે અને આવતીકાલે ૯૦ની ગતિના પવન ફૂંકાશે. જેથી માછીમારોને હાલ તાકીદ કરાઈ છે, ૪ દિવસ માટે દરિયો ના ખેડવા સૂચન છે. દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે, સાથે જ દરિયો તોફાની પણ બનશે. ૪૦ ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાશે, પણ અમદાવાદમાં કોઈ ખતરો નથી. શાહીન વાવાઝોડાની અસરથી ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ અમદાવાદના શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદ, તેમજ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. આજે અને આવતીકાલે વાવાઝોડાની અસર રહેશે, પરમ દિવસ બાદ અસર ઘટી જશે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં ૩ ટકા વરસાદની ઘટ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ૧૩ ટકા વધુ વરસાદ છે. તો ગુજરાત રિજનમાં ૧૪ ટકા વરસાદની ઘટ યથાવત છે.

Previous articleરાજ્યના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ
Next articleકાશ્મીરમાં ઊરી જેવા હુમલો નિષ્ફળ, ૧ આતંકી ઠાર, ૧ જીવતો પકડાયો