દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી

93

કેરો, તા.૧૬
દિલ્હી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવાયું હતું કે અત્યારે પાટનગરમાં ૬૯ મશીન છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેમ જ ઉપરાજ્યપાલ વધારે મશીનો લગાવવા કટિબદ્ધ છે. એ નિવેદનના સંદર્ભમાં કટાક્ષ કરતા કોર્ટે કહ્યું હતું કે બધા જ કટિબદ્ધ છે, પણ એ કહો, મશીન ક્યારે આવશે અને કેટલા આવશે? આનો જવાબ હવે પછીની સુનાવણીમાં આપવાની તાકીદ પણ સર્વોચ્ચ અદાલતે કરી છે. કેન્દ્ર સરકાર બેઠક યોજી લેશે તે પછી બુધવારે આ કેસની વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે.દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને તુરંત પગલાં ભરવાની તાકીદ કરી છે. દિલ્હીની રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉન જરૃરી છે એવી રજૂઆત કરી હતી અને સાથે સાથે પાડોશી રાજ્યો પણ યોગ્ય પગલાં ભરે એવી માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવવાની ભલામણ કરી છે. દિલ્હીના પ્રદૂષણના કેસની સુનાવણી બુધવારે થશે. દિલ્હીની કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે સંપૂર્ણ લોકડાઉન જરૃરી છે. લોકડાઉન લાગુ કરવામાં આવશે તો વાયુ પ્રદૂષણ કાબૂમાં આવી જશે, પરંતુ તે સાથે જ દિલ્હીના અન્ય પાડોશી રાજ્યોમાં પણ લોકડાઉન લગાવવું જોઈએ અથવા તો યોગ્ય પગલાં ભરવા જોઈએ. નહીંતર દિલ્હીના લોકડાઉનની અસર થશે નહીં. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લાગતા-વળગતા રાજ્યો સાથે ઈમરજન્સી બેઠક બોલાવવાની તાકીદ કરી છે. દિલ્હી ઉપરાંત યુપી, હરિયાણા, પંજાબ જેવા રાજ્યો સાથે બેઠક કરીને આ મુદ્દે તુરંત પગલાં ભરવાનું સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું છે. એટલું જ નહીં, દિલ્હી સરકારીન પણ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ટકોર કરી હતી કે બીજા પર ઠીંકરા ફોડવાને બદલે તાત્કાલિક પગલાં ભરો તો વાયુ પ્રદૂૂષણ કાબૂમાં આવી જશે. તે સિવાય સુપ્રીમ કોર્ટે ખેતરોમાં પરાળી બાળવાથી પ્રદૂષણ વધે છે તેવી દલીલને ફગાવી દેતા નિરીક્ષણ રજૂ કર્યું હતું કે ખેતરોમાં પરાળી બાળવાથી માત્ર ૧૦ ટકા વાયુ પ્રદૂષણ વધે છે. અત્યારનું વાયુ પ્રદૂષણ ધૂળના કારણે સર્જાયું છે એવું કોર્ટે કહ્યું હતું. કોર્ટે દિલ્હીની સરકારને આગામી સુનાવણી વખતે સ્પષ્ટતા કરવાની તાકીદ કરી છે કે રાજ્ય સરકારે ધૂળ સાફ કરવાના કેટલા મશીન લગાવ્યા છે? રોડ પરથી ધૂળ અને માટી હટાવવા શું પગલાં ભરાય છે? એવા સવાલના જવાબમાં દિલ્હી સરકારના વકીલે કહ્યું હતું એ તંત્ર તો દિલ્હી મહાનગર પાલિકાના અંતર્ગત આવે છે. એ જવાબની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી.

Previous articleપાછલી સરકારોએ પૂર્વ યુપી પર ધ્યાન નથી આપ્યું : વડાપ્રધાન મોદી
Next articleઅમેરિકા ભારતને ૨૧ હજાર કરોડમાં ૩૦ ડ્રોન આપશે