પાછલી સરકારોએ પૂર્વ યુપી પર ધ્યાન નથી આપ્યું : વડાપ્રધાન મોદી

99

યુપીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેને ખુલ્લો મુકવામાં આવ્યો : આ ૩૪૨ કિમીનો એક્સપ્રેસ વે લખનૌથી થઈને બારાબંકી, આંબેડકરનગર, ફૈજાબાદ, અમેઠી, સુલ્તાનપુર, આજમગઢ, મઉ અને ગાજીપુરથી પસાર થશે
લખનૌ, તા.૧૬
વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં ૩૪૨ કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ વેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવા માટે પીએમ મોદી વાયુસેનાના કદાવર પ્લેન હરક્યુલિસમાં આવ્યા હતા અને તેમનું પ્લેન આ જ એક્સપ્રેસ વે પર લેન્ડ થયું હતું. આ સાથે જ ૪૫ મિનિટનો એર શો પણ યોજાયો હતો જેમાં ભારતીય વાયુસેનાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ એક્સપ્રેસ વે લખનૌથી થઈને બારાબંકી, ફૈજાબાદ, આંબેડકરનગર, અમેઠી, સુલ્તાનપુર, આજમગઢ, મઉ અને ગાજીપુરથી પસાર થશે. આ એક્સપ્રેસ વે મારફત દિલ્લીથી યૂપીની પૂર્વ સરહદ સુધી માત્ર ૧૦ કલાકની અંદર પહોંચી શકાય છે. યુપી સરકારના ગૃહ વિભાગના એડિ. મુખ્ય સચિવ અવનીશ અવસ્થીના જણાવ્યા પ્રમાણે જુલાઈ ૨૦૧૮માં શિલાન્યાસ કરવામાં આવ્યાબાદ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કામ ૩૬ મહિનામાં પૂરું કરવામાં આવ્યું છે. મહત્વું છે કે આ દરમિયાન કોરોના મહામારી આવવા છતાં એક્સપ્રેસ વે બનાવવાનો સમય અને બજેટમાં વધારો કરવાની જરુર નહોતી પડી. આ એક્સપ્રેસ વે પર ૩.૨ કિમી લાંબી એર સ્ટ્રિપનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જે સ્ટ્રેટજીક રીતે પણ ખૂબ જ મહત્વની છે કેમ કે અહીંથી ચીનની સરહદ માત્ર ૬૦૦ કિમી દૂર છે. આ તકે પોતાના ભાષમાં રાજ્યના સીએમ યોગી આદીત્ય નાથે કહ્યું કે રાજ્યમાં ૯ એરપોર્ટ પૂર્ણ રીતે ફંક્શનલ છે અને ૧૧ નવા એરપોર્ટ્‌સ બની રહ્યા છે. આ નવા ભારતનું ઉત્તર પ્રદેશ છે. સીએમ યોગીએ પોતાના ભાષણમાં પૂર્વાંચલ સહિત સમગ્ર વિસ્તારની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ એક્સપ્રેસ વે ફક્ત વાહનવ્યવહારનું સાધન નથી પરંતુ આઝાદી બાદથી જ રાજ્ય ભૌતિક વિકાસના જે માપદંડો પર પાછળ છૂટી ગયું છે તેની રેખા પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું પ્રતિક છે. જ્યારે પીએમ મોદીએ સ્થાનીક ભાષામાં સુલ્તાનપુરની જનતાનું અભિવાદન કરીને પોતાના વક્તવ્યની શરુઆત કરી હતી. તેમણે પૂર્વાંચલની ભાષામાં કહ્યું કે જે જગ્યા પર હનુમાનજીએ કાલનેમી જેવા રાક્ષસનો વધ કર્યો તે ધરતીના લોકોને મારા પ્રણામ. અહીંના લોકોએ ૧૮૫૭માં અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું. રાજ્યની પાછલી સરકારોએ ક્યારેય પૂર્વ યૂપી પર ધ્યાન આપ્યું નથી. પાછલી સરકારોએ અહીંના લોકોને માફિયાવાદ અને ગરીબીના હવાલે કરી દીધા. ગરીબોને પાક્કા મકાનો હોય કે પછી મહિલાઓને જાહેરમાં શૌચાદી ક્રિયા માટે જવાની મજબૂરી હોય અનેક કામ અહીં કરવાના હતા જોકે મને ખેદ છે કે તે સમયની સરકારે ક્યારેય મને પૂરો સાથ આપ્યો નથી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું કે યોગીરાજમાં પરિવારવાદ કે જાતીવાદ નથી. આ સરકારમાં સબકા સાથ સબકા વિકાસની નીતિ છે. પહેલા યુપીથી દિલ્હી સુધી પરિવારવાદની સરકારો હતી. તેમણે અખિલેશ યાદવ પર નિશાનો સાધતા કહ્યું કે પહેલા તો મારી સાથે ઉભા રહેતા પણ ડરતા હતા. પીએમ મોદીએ અંતમાં કહ્યું કે પહેલાની સરકારોએ કનેક્ટિવિટીની દરકાર કર્યા વગર જ ઔદ્યોગિકરણનું ફુલ ગુલાબી ચિત્ર દેખાડ્યું પરિણામ એ આવ્યું કે થોડા સમયમાં જ શરું થયેલા કારખાનાઓ બંધ થવા લાગ્યા. આપણે ઘર બનાવીએ તો જમીનની માટીથી લઈને મટેરિયલ દરેક વસ્તુની તપાસ કરીએ છીએ તો આ તો રાજ્યના વિકાસની વાત છે. લાખો લોકોના જીવન સાથે જોડાયેલી વાત છે કઈ રીતે નજરઅંદાજ કરી શકાય. પીએમ મોદીએ અંતમાં કહ્યું કે અહીં અંતે એર શો પણ યોજવામાં આવશે. આ વિમાનોની ગુંજ તે લોકો માટે છે જેમણે આઝાદીના આટલા વર્ષો થયા દેશના ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નજર અંદાજ કર્યું છે. મહત્વનું છે કે આ કાર્યક્રમના અંતે ૪૫ મિનિટનો એર શો યોજવામાં આવશે. જેમાં વાયુ સેનાના વિવિધ વિમાનો દ્વારા અદમ્ય સાહસ અને શૌર્યને દર્શાવાશે. આ એર શોમાં ૧૩૦ જે હરક્યુલિસ, રાફેલ ,સુખોઈ અને મિરાજ સહિતના ફાઈટર જેટ સામેલ રહેશે.

Previous articleશ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર
Next articleદિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી