કૃષિ કાયદાના બિલને બુધવારે મંજૂરી મળે તેવી શક્યતા

89

વડાપ્રધાનની જાહેરાત બાદ હવે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવા માટે સંસદમાં બિલ રજૂ કરશે
નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્રિય મંત્રીમંડળ તરફથી ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાના બિલને બુધવારે મંજૂરી મળવાની સંભાવના છે. સરકારના સૂત્રોએ આ જાણકારી આપી છે. મંત્રીમંડળની મંજૂરી બાદ આ બિલને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. અહીં નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુરુ પર્વ નિમિત્તે રાષ્ટ્રહિતમાં કૃષિ કાયદાઓને પરત ખેંચવાની સરકારની ઈચ્છાની જાહેરાત કરી હતી. સંસદનું શિયાળુ સત્ર તારીખ ૨૯ નવેમ્બરે શરૂ થશે. કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગ કરતા ગત વર્ષે નવેમ્બરથી દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે તેઓ ત્યાં સુધી પ્રદર્શન સ્થળે રહેશે કે જ્યાં સુધી સંસદ તરફથી કૃષિ કાયદાઓ નાબૂદ થઈ જાય. વડાપ્રધાનની જાહેરાત બાદ હવે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવા માટે સંસદમાં બિલ રજૂ કરશે. અહીં નોંધનીય છે કે શુક્રવાર, ૧૯ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત સાથે લાંબા સમયથી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખતમ કરવાનો રસ્તો સાફ કર્યો હતો. પરંતુ તેમની જાહેરાત બાદથી જ દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડૂત સંગઠનોએ બેઠકો શરું કરી દીધી હતી. કેન્દ્ર દ્વારા અમલમાં લાવેલા ૩ નવા કૃષિ કાયદાઓેને રદ કરવાની માગ સાથે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતીય રાજ્યોના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી. તેમણે દિલ્હીની સરહદો પર જ રહીને વિરોધ પ્રદર્શન શરુ કર્યા હતા. જોકે લાંબા સમય બાદ પીએમ મોદીએ તેમની માગને સ્વીકારી કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. જે પછી ખેડૂત સંગઠનો પણ આગળની રણનીતિ માટે બેઠક પર બેઠક યોજી રહ્યા હતા. હાલમાં બેઠક બાદ ખેડૂતોના નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે, કેન્દ્રએ સારો નિર્ણય લીધો છે અને આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. પરંતુ હજુ પણ કેટલાંક મુદ્દા છે જે બાકી છે. તેમણે જણાવ્યું કે, અમે પીએમ મોદીને આ સંબંધિત ઓપન લેટર લખીશું. જેમાં ખેડૂતોની અન્ય માગનો ઉલ્લેખ કરવામાં આવશે. આ મુદ્દાઓમાં એમએસપી સમિતિ, તેના અધિકાર, સમય મર્યાદા, વિજળી બિલ ૨૦૨૦ સામેલ કરવામાં આવશે. આ પહેલા શનિવારે સંયુક્ત ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે, સંગઠને નક્કી કરેલા કાર્યકમો ચાલુ રહેશે. આ સાથે કૃષિ કાયદા સામે આંદોલન શરું કરવાને એક વર્ષ પૂરુ થવા પર અન્ય ખેડૂતોને પ્રદર્શન સ્થળ પર આવવા માટે અપીલ કરી હતી.

Previous articleઆજથી ધો.૧ થી ૫ની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે : શિક્ષણમંત્રી
Next articleછેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૮૮ કોરોનાના નવા કેસ નોંધાયા