ઢસાનાં મોટા ઉમરડા ગામે મામાનાં ઘરે આવેલા દંપત્તિએ આપઘાત કર્યો

871
bvn10520185-9.jpg

ઢસાનાં મોટા ઉમરડા ગામે મામાના ઘરે બાળકો સાથે વેકેશન માણવા મુંબઈથી આવેલા દંપત્તિએ આજે વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ઉમરડા ગામમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા ગઢડા મામલતદાર, ઢસા પોલીસ, એલસીબી સહિતનો કાફલો ઘટનાં સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ઢસા નજીક આવેલા મોટા ઉમરડા ગામે વહેલી સવારનાં પતિ-પત્નિની લટકતી લાશ મળી આવતા તુરંત જ પોલીસને જાણ કરાતા ઢસા પોલીસ, એલસીબી, ગઢડા મામલતદાર સહિતનો કાફલો મોટા ઉમરડ ગામે સવજીભાઈ લાલજીભાઈ ચાવડાનાં ઘરે પહોચી ગયો હતો અને તપાસ કરતા મુંબઈથી વેકેશન કરવા આવેલા હિતેષ મોહનભાઈ કૈતપરા અને પત્નિ અનિતાબેન હિતેષભાઈ કૈતપરાની લટકતી લાશ ઉતારી જરૂરી કેસ કાગળો કરી બન્નેની લાશને પીએમ અર્થે ગઢડા મોકલી દેવાઈ હતી.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મુળ બરવાળા તાલુકાનાં ચારણકી ગામનાં વતની અને હાલ મુંબઈ રહેતા હિતેષભાઈ હાલમાં વેકેશન હોય મામાના ઘરે મોટા ઉમરડા પત્ની તથા પુત્ર-પુત્રી સાથે ચારેક દિવસ પહેલા આવ્યા હતા ગરમીનાં કારણે વહેલી સવારે ચારેક વાગ્યે પુત્રને સુવરાવવા બહાર આવ્યા હતા ત્યારબાદ બનાવ બન્યો હોવાનું જાણવા મળેલ છે. ત્યારે નાનકડા એવા મોટા ઉમરડ ગામમાં દંપત્તિની આત્મહત્યાથી ચકચાર મચી જવા પામી છે. 
જ્યારે બે માસુમ બાળકોએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવતા નોધારા બન્યા છે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleમ.કૃ.ભાવનગર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ અભિમુખતા કાર્યક્રમ યોજાયો
Next articleસગીરા પર દુષ્કર્મ કરનાર લુવારવાવ ગામના શખ્સને ૧૦ વર્ષની સખ્ત સજા