મોદીની સુરક્ષામાં ચૂકની તપાસ માટે સુપ્રીમના નિવૃત્ત જજની સમિતિ

74

કમિટીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના પંજાબ યૂનિટના એડિશનલ ડીજી પણ સામેલ હશે
નવી દિલ્હી,તા.૧૦
રેલીના સંબોધન માટે પંજાબ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે. રાજકીય પાર્ટીઓ આરોપ-પ્રત્યારોપ કરી રહી છે. આ ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજોની આગેવાનીમાં એક સમિતિ તૈયાર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજની સુનાવણીમાં તપાસ માટે કમિટીની જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કમિટીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના ડીજી અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના પંજાબ યૂનિટના એડિશનલ ડીજી પણ સામેલ હશે. ચીફ જસ્ટિસ એનવી રમનની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા દલીલ રજૂ કરવામાં આવી હતી. સીનિયર એડવોકેટ ડીએસ પટવાલિયાએ જણાવ્યું કે, એસએસપીને સાત શો કોઝ (કારણ જણાવો) નોટિસ આપીને પૂછવામાં આવ્યું છે કે આખરે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન થવી જોઈએ. મને મારો પક્ષ મૂકવાની તક આપવામાં નથી આવી. જ્યારે કાર્યવાહી રોકવામાં આવી તો શૉ કોઝ નોટિસ ક્યાંથી આવી ગયા. મને કેન્દ્ર સરકારની તપાસ સમિતિથી ન્યાય નહીં મળે, સ્વતંત્ર તપાસની જરુર જણાઈ રહી છે. એડવોકેટ પટવાલિયાએ આગળ કહ્યું કે, પંજાબના મુખ્ય સચિવના નામ પર જાહેર કરવામાં આવેલી શૉ કોઝ નોટિસમાં કહેવામાં આવ્યું છે. કે, એસપીજી એક્ટ અંતર્ગત આપવામાં આવેલી જવાબદારીનું પાલન થયેલું જણાતુ નથી. વીવીઆઈપી ટ્રાવેલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નથી આવી. સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના પક્ષમાં ઉભા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે, પંજાબના ડીજી અને ચીફ સેક્રેટરીને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તપાસ રોકવાનો આદેશ આપ્યો તો આગળ કાર્યવાહી કરવામાં નથી આવી. કેન્દ્ર સરકારે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે જે કમિટીની રચના કરી હતી, તેણે કોર્ટના આદેશ પર પોતાનું કામ રોકી લીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે દલીલ કરવામાં આવી છે અને વાત વડાપ્રધાનની સુરક્ષાની છે, માટે યોગ્ય રહેશે કે તમામ રેકોર્ડને પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર પોતાની પાસે રાખી લે. પંજાબ સરકાર અને કેન્દ્ર સરકારની એજન્સીઓ આ બાબતે સહયોગ કરે અને તમામ રેકોર્ડ તાત્કાલિક રજિસ્ટ્રાર જનરલને સોંપી દેવામાં આવે. આમ કહીને સુપ્રીમ કોર્ટે આજ માટે કાર્યવાહી ટાળી દીધી હતી. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ એનવી રામન, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની પીઠ દ્વારા આ કેસની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પંજાબમાં ફિરોઝપુરના હુસૈનીવાલા સ્થિત શહીદ સ્મારક પાર્ક જતી વખતે ફ્લાઈઓવર પર ફસાઈ ગયો હતો.
વાતાવરણ ખરાબ હોવાને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટર નહીં પણ રોડ માર્ગે હુસૈનીવાલા જઈ રહ્યા હતા. અહીં ભારતીય જનતા પાર્ટીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ખેડૂતોએ ચક્કાજામ કર્યો હોવાને કારણે ૨૦ મિનિટ વડાપ્રધાનના કાફલાએ ફ્લાઈઓવર પર રોકાવુ પડ્યુ હતું.

Previous articleમહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની શક્યતા
Next articleયુપીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, અનેક મજૂરોનાં મોત