અમેરિકા જવાની લ્હાયમાં પટેલ પરિવારે જીવ ખોયો

102

કેનેડાથી અમેરિકામાં ઘૂસવા ઠંડીમાં ૧૧ કલાક ચાલ્યા : એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે મૃતકોમાં એક બાળક અને એક નાનકડી દીકરી પણ છે
અમદાવાદ, તા.૨૩
વર્ષે દહાડે અનેક ગુજરાતીઓ વિદેશ જવાની લાલચમા રૂપિયા ગુમાવે છે. પરંતુ કેનેડા બોર્ડર પર બનેલી ઘટના અત્યંત દર્દનાક છે. અમેરિકા જવાની ઘેલછા કલોલના પટેલ પરિવારને ભારે પડી છે. પટેલ પરિવારનું અમેરિકા જવાનુ સપનુ બોર્ડર પહેલા જ રગદોળાયુ. ગુજરાતી પરિવાર અમેરિકા પહોંચવા માટે માઈનસ ૩૫ ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં સતત ૧૧ કલાક ચાલ્યા હતા. પણ આ ગેરકાયદેસર ઘૂસણખોરીએ જ પટેલ પરિવારનો જીવ લીધો. કુલ ૧૧ લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાઁથી એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં એક બાળક અને એક નાનકડી દીકરી પણ છે. બાકીના ૭ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પકડાયેલા લોકો માણસા, ગાંધીનગર અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની શક્યતા છે. તમામ લોકો એજન્ટની મદદથી બોર્ડર પાર કરતા હતા. આ ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. કુલ ૧૧ લોકો કેનેડાથી અમેરિકાની બોર્ડર ગેરકાયદેસર રીતે પાર કરી રહ્યા હતા, જેમાંથી ચારના મોત થયા છે. બાકીના લોકોને પકડી પાડવામાં આવ્યા છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. ૧૦ દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી ૧૦ દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ છે. બીજીતરફ, અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર ઘટના વિશે બળદેવભાઈએ જણાવ્યુ કે, તેમનો પરિવાર ૪ દિવસથી ગુમ છે, દસ દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. તેઓ કેવી રીતે જવાના હતા તેની કઈ ખબર નથી અને કોણ કોણ સાથે હતું એ પણ ખબર નથી. છેલ્લા બે દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી. અન્ય કોણ કોણ ગુમ : મહેશભાઈ વાડીલાલ પટેલ, વર્શિલ પંકજભાઈ ધોબી, અર્પિત કુમાર રમેશભાઈ પટેલ, પ્રિન્સકુમાર જ્યંતિભાઈ પટેલ, સુજિતકુમાર અલ્પેશભાઈ પટેલ, યશ દશરથભાઈ પટેલ, પ્રિયંકા કાંતિભાઈ ચૌધરી.

Previous articleમાઘ માસે કેસુડાનુ આગમન…?
Next articleઅભિનેત્રી મૌની રોયે લગ્નમાં ઘટાડી મહેમાનોની સંખ્યા