ભારતીયોને યુક્રેનથી પરત લાવવા પ્રતિ કલાકનો ૭થી ૮ લાખનો ખર્ચ

116

યુદ્ધની સ્થિતિના કારણે યુક્રેનમાં જવું શક્ય નથી માટે પાડોશી દેશોની મદદથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
નવી દિલ્હી, તા.૨૮
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આવામાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ’ઓપરેશન ગંગા શરુ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન ફ્લાઈટને રોમાનિયા અને હંગેરીના એરપોર્ટ્‌સ પર ઉતારીને ત્યાંથી વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. આ માટે જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ્‌સની અવર-જવર પર પ્રતિ કલાકના દરે ૭-૮ લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને પર લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મોટા આકારના ડ્રીમલાઈનર વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશન દરમિયાન ઘણાં વિદ્યાર્થીઓને પરત લાવી દેવામાં આવ્યા છે. ભારતે ઓપરેશન ગંગા દરમિયાન ઘણાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને યુક્રેનથી ભારત લાવવામાં સફળતા મળી છે. એર ઈન્ડિયાની આ ઉડાનનું સંચાલન ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આ અભિયાનમાં ડ્રીમલાઈનર વિમાનની ઉડાણ પર પ્રતિ કલાકનો લગભગ ૭થી ૮ લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. આ સૂત્રએ જણાવ્યું કે એક બચાવ અભિયાનમાં આવનારો કુલ ખર્ચ એ બાબત પર નિર્ભર કરે છે કે વિમાન ક્યાં ઉતરી રહ્યું છે અને કેટલું અંતર કાપે છે. ડ્રીમલાઈનર વિમાન પર પ્રતિ કલાક લગભગ ૭-૮ લાખનો ખર્ચ થાય છે તે પ્રમાણે અભિયાનમાં ભારતથી યુક્રેનની નજીક આવવા અને ત્યાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા પર ૧.૧૦ કરોડ રૂપિયા કરતા વધુનો ખર્ચ થાય છે. કુલ ખર્ચમાં વિમાનનું ઈંધણ, ક્રૂ-મેમ્બર્સનો પરિશ્રમ, નેવિગેશન, લેન્ડિંગ અને પાર્કિંગ ખર્ચનો સમાવેશ થાય છે. સૂત્રએ નામ ન જણાવવાની શરતે વિગતો આપી કે અભિયાન દરમિયાન લાગતા લાંબા સમયને જોતા પાઈલટ અને સપોર્ટિંગ ક્રૂ મેમ્બર્સના બે ગ્રુપ રાખવામાં આવે છે. પહેલું ગ્રુપ વિમાનને લઈને ગંતવ્ય સ્થળ પર જાય છે અને પરત આવતી વખતે બીજી ટીમ કમાન સંભાળે છે. એર ઈન્ડિયાએ આ બચાવ અભિયાન હેઠળ હાલ રોમાનિયાના શહેર બુખારેસ્ટ અને હંગેરીના બુડાપેસ્ટ માટે ફ્લાટ કાર્યરત છે. આ બન્ને જગ્યા માટે એરલાઈન્સ માટે નોટિફાઈડ એર સર્વિસ નથી. ફ્લાટને ટ્રેક કરનારી વેબસાઈટ ફ્લાઈટઅવેર મુજબ બુખારેસ્ટથી મુંબઈ આવનારી ફ્લાઈટને લગભગ ૬ કલાકનો સમય લાગે છે. આ જ રીતે બુખારેસ્ટથી દિલ્હીની સફરમાં પણ ૬ કલાકનો સમય લાગે છે. જોકે, આવવા-જવાનો સમય વધતા આ ઓપરેશન પાછળ થનારા ખર્ચમાં પણ વધારો થાય છે. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર લાવવા માટે ઓપરેશન ગંગા હાથ ધર્યું છે. જે દરમિયાન થનારો ખર્ચ સરકાર જ ઉઠાવી રહી છે. કેટલાક રાજ્યોએ પણ જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓને લાવવાનો જે ખર્ચ થશે તે પોતે જ ઉપાડશે. સૂત્રો જણાવે છે કે આ ઓપરેશન પૂર્ણ થયા બાદ તે દરમિયાન થનારા કુલ ખર્ચની ગણતરી કરીને એરલાઈન તે ભારત સરકારને મોકલશે. જણાવી દઈએ કે આ ઓપરેશન અંતર્ગત ઉપયોગમાં લેવાતા ડ્રીમલાઈન વિમાનમાં ૨૫૦ કરતા વધારે સીટો હોય છે.

Previous articleકીવ પર કબજા માટે રશિયાના હવાતિયાં, આક્રમક હુમલા શરૂ
Next articleગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૨ માર્ચથી શરૂ થશ