ભાવનગરમાં સરકારી તબીબોએ હડતાળના ચોથા દિવસે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો

56

માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશેની ચિમકી ઉચ્ચારવામાં આવી
રાજ્યભરમાં સરકારી તબીબો છેલ્લા ચાર દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ભાવનગરમાં પણ ડોક્ટરોની હડતાળ યથાવત છે. જેના ભાગરૂપે દરરોજ જુદા-જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેમાં રામદરબાર, ગાયત્રી હવન, સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે હડતાળના ચોથા દિવસે તબીબો દ્વારા સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં સુધી ડોક્ટરોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ પૂર્ણ થશે નહીં તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સર્જરી વિભાગના વડા ડો. સમીર શાહે જણાવ્યું હતું કે, તબીબો છેલ્લા ચાર દિવસથી જુદી-જુદી માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેમાં પેહલા દિવસે સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજા દિવસે રામદરબારનું આયોજન કર્યું હતું. જ્યારે ત્રીજા દિવસે પણ ગાયત્રી હવનનું આયોજન કર્યું હતું અને આજે ચોથા દિવસે સર.ટી.હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એકઠા થઇ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વધુમાં કહ્યુ કે, અમારી વ્યાજબી માંગણીઓ હોવા છતાં હલ થઇ નથી. પડતર માંગણીઓ મુદ્દે 2012થી લડત ચાલુ છે તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ ના આવતાં ભાવનગર જિલ્લાના તમામ એસોસિએશન પણ હડતાળમાં જોડાયાં છે. તેમજ ભાવનગર જિલ્લાના આશરે 450 જેટલા તબીબો હડતાળ પર છે તથા તેમની માંગણીઓ સ્વીકાર કરતો પરિપત્ર જ્યા સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમારા દર્દીઓને બાનમાં લેવાનો કોઇ પ્રયાસ નથી. જો દર્દીને કંઇ થાય તો તેના માટે સરકારનો નાણા વિભાગ જવાબદાર રહેશે. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોર્મ હેઠળ ફરજ બજાવતા ડૉક્ટરોની વિવિધ પ્રકારની પડતર માંગણીઓ જેવી કે, તબીબ શિક્ષકો માટે નિમણૂક તારીખથી એન.પી.એસ લાગુ કરવામાં આવે, સાતમા પગારપંચ મુજબ એરિયર્સ ચુકવવામાં આવે, તબીબ શિક્ષકોને મેડિકલ તથા ટ્રાંસ્પોર્ટ એલાઉન્સ ચુકવવામાં આવે જેવી માંગો સ્વીકારતો પરિપત્ર સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Previous articleભાવનગરના ભાલ પંથકમાં દોઢ મહિનાથી પીવાનું પાણી લો-પ્રેશરથી આવતા ગ્રામજનો પરેશાન, હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી
Next articleશિસ્તના આગ્રહી અને નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા બોટાદ જીલ્લાના એસ.પી.તરીકે ચાર્જ સંભાળતા કરણરાજ વાઘેલા