ડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ

26

અરવલ્લીના ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ : મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ગુજરાતના ૧૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. બીજી તરફ ડીસાના એક ગામ ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે. મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ૭૦ સ્સ્ વરસાદ ધનસુરામાં નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. ૧૮ તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ડીસા પંથકમાં અચરજ પમાડતી એક ઘટના બની છે. રાત્રે ભીલડી પંથકમાં એક ખેતરમાં વરસાદ સાથે માછલીઓ પણ વરસી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ડીસા તાલુકાના ખેંટવા ગામ ખાતે બાબુભાઈ દેસાઈ નામના ખેડૂતના ખેતરમાં માછલીઓનો વરસાદ થયો હતો. ખેડૂતનો દાવો છે કે વરસાદની સાથે સાથે તેમના ખેતરમાં નાની માછલીઓનો પણ વરસાદ થયો હતો. એક હકીકત એવી પણ સામે આવી છે કે જે ખેતરમાં માછલીઓનો વરસાદ થયો છે ત્યાં આસપાસ કોઈ નદી કે તળાવ પણ નથી. આ અંગેની જાણ થયા બાદ લોકો માછલીઓને જોવા માટે દોડી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૨૪ કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. ૧૭મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. હવામાન વિભાગની એવું પણ કહેવું છે કે આગામી ૪૮ કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

Previous articleવરસાદથી રાજ્યભરમાં જુદા જુદા અકસ્માતના પગલે સાતનાં મોત
Next articleગુજરાતના નાગરિકોને પંજાબ અને દિલ્હીની જેમ 200 યુનિટ વીજળી ફ્રી આપવા કલેકટર અને મુખ્યમંત્રી ને રજુઆત કરાઈ