ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ પ્રોજેકટ એ નવા વર્ષની ભેટ 

773

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં તેમના ડ્રીમ પ્રોજેકટ ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ પ્રોજેકટની વાત પણ કરી હતી. તેમણે તા.૨૨મી ઓકટોબરે આ પ્રોજેકટ અંતર્ગત ગુજરાતની મુલાકાતે તેઓ ફરી આવવાના હોઇ અને પ્રોજેકટને લઇ ભારે ઉત્સાહિત હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ પ્રોજકટના પરિણામે ભાવનગરથી ઘોઘાનું અંતર કાપતાં જયાં આઠ કલાક લાગતા હતા, તે આ પ્રોજેકટ બાદ એક કલાકમાં કપાશે. ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ પ્રોજેકટ એ દેશવાસીઓને ખાસ કરીને ગુજરાતના લોકોને નવા વર્ષની ભેટ હશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, હું નાનો હતો અને સ્કૂલમાં ભણતો હતો ત્યારે ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ વિશે વાંચતો હતો. કોંગ્રેસના બળવંતરાય મહેતાના શાસન વખતથી ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ પ્રોજેકટના વાયદા થતા આવ્યા છે પરંતુ તેનું કોઇ અમલીકરણ થયું ન હતું. સમગ્ર દેશમાં એક અજુબા જેવો આ પ્રોજેકટ છે. સૌરાષ્ટ્‌ અને દક્ષિણ ગુજરાત સહિતના લોકો માટે તે ચમત્કાર સર્જશે અને આશીર્વાદ સમાન બનશે. ભાવનગરથી ઘોઘા સુધીનું અંતર કાપતાં જયાં આઠ કલાક લાગતા હતા ત્યાં હવે માત્ર એક કલાકમાં જ આ અંતર કપાઇ જશે. હજુ તો આ પ્રથમ તબક્કો છે, જેમાં પેસેન્જર વાહનો આ પ્રોજેકટ સેવામાંથી પસાર થવાના છે પરંતુ આવનાર ટૂંક સમયમાં બીજા તબક્કો પણ પૂર્ણ થઇ જશે અને પછી તેમાં ખાનગી વાહનો પણ જોડાશે, જેથી લોકો તેમના ખાનગી વાહનો મારફતે ગણતરીની મિનિટોમાં ભાવનગરથી ઘોઘા પહોંચી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનના અંતે ઉપસ્થિત લાખોની જનમેદની અને ભાજપના લાખો કાર્યકર્તાઓ સહિત તમામ લોકોને હૃદયપૂર્વક દિવાળીના તહેવારની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ તમામ લોકોનો આભાર માન્યો હતો અને છેલ્લે ત્રણ વાર ભારત માતા કી જય બોલી પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. આ પહેલાં મોદીએ પ્રવચનની શરૂઆતમાં ઉપસ્થિત લાખોની જનમેદની જોઇ બધાનો આભાર માનતાં તેમ જ ખુશી વ્યકત કરતાં તેઓને જણાવ્યું કે, તમે તો આજે વટ પાડી દીધો..આટલી મોટી સંખ્યામાં હાજર રહીને. લોકોએ મોદીના આ અભિવાદનને તાળીઓના ગડગડાટથી ઝીલી લીધું હતું. 

Previous article રાજુલાના ગોકુલનગર – રના નવા રોડનું કરાયેલું ખાતમુર્હૂત
Next article અમેઠીમાં કલેકટર કચેરી નહી બનાવી શકનાર રાહુલ વિકાસનો હિસાબ માંગે છે : અમીત શાહ