GPS સિસ્ટમ બાદ લોકો ટ્રેનનું લોકેશન જાણી શકશે

976

હવે બહુ ટૂંક સમયમાં રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છુક પ્રવાસીઓને ટ્રેન ક્યાં પહોંચી, કેટલી મોડી છે? વગેરેની તમામ માહિતી ચોક્કસ સ્વરૂપે મળશે એટલું જ નહીં, રેલવે સ્ટેશન પર ઘોંઘાટિયા વાતાવરણમાં સ્પીકર પર એનાઉન્સ થતા ટ્રેનના સમય કે મોડી થવાની સૂચનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું નહીં પડે. તાજેતરમાં જ રેલવેતંત્રએ વોટ્‌સએપ નંબર જાહેર કર્યા છે, જેમાં ટ્રેનની તમામ માહિતી પીએનઆર નંબર મૂકવાથી મળી રહેશે, પરંતુ આ માહિતી પ્રવાસીને ચોક્કસ સ્વરૂપે મળે તે પણ જરૂરી છે. તેના માટે જીપીએસ અત્યંત આવશ્યક હોવાથી ટ્રેનના રેલવે એન્જિનમાં હવે જીપીએસ લગાવવાનું શરૂ કરાયું છે, જેના કારણે ટ્રેનનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. જીપીએસના માધ્યમથી બીજા અનેક ફાયદા પણ થશે, જેમ કે અત્યારે સ્ટેશન માસ્તર દ્વારા ટ્રેનના આવવા-જવાનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે, પરંતુ જીપીએસ લાગ્યા બાદ આપોઆપ તેમાં ડેટા ફીડ થઇ જશે કે કઇ ટ્રેન કેટલા વાગ્યે કયા સ્ટેશન પર આવી અને ઉપડી. ટ્રેનને તેના નિયત સમયે દોડાવવા રેલવેતંત્ર દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ મોટા ભાગની ટ્રેન તેના નિયત સમય કરતાં હંમેશાં પ થી ૧પ મિનિટ મોડી પડે છે, જોકે રેલવે પ્રવાસીઓ પણ આ બાબતથી હવે ટેવાઇ ગયા છે પણ ઘણી વખત ટ્રેન તેના નિયત સમય કરતાં અડધો કલાક કે તેથી વધુ સમય માટે મોડી પડે તો મુસાફરો નારાજગી સાથે સ્ટેશન માસ્તરની ઓફિસમાં વારંવાર પૂછપરછ કરવા માટે પહોંચી જાય છે. આ સંજોગોમાં તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા એક વોટસએપ નંબર જાહેર કરાયો છે.

આ વોટસએપ નંબર પર પીએનઆર નંબર લખવાથી તરત જ ટ્રેન અંગેની તમામ માહિતી મુસાફરને મળી જશે. પીએનઆર વગર મુસાફરને આ અંગેની માહિતી નહીં મળી શકે. જીપીએસ લાગી જવાથી ટ્રેન ક્યાં પહોંચી છે, કેટલા સમયમાં સ્ટેશન પર આવશે તે પણ ઓટોમેટિક તેમાં આવી જશે. તેથી અત્યારે જે મેન્યુઅલી થાય છે તે હવે ઓનલાઇન ઓટોમેટિક થશે. મુસાફરો માત્ર એક જ ક્લિકથી ટ્રેનનું ચોક્કસ લોકેશન જાણી શકશે. તેથી સ્ટેશન પર વહેલાં આવીને તેમને કલાકો સુધી બેસી રહેવું નહીં પડે. હાલમાં શતાબ્દી ટ્રેનોના એન્જિનમાં જીપીએસની આ સિસ્ટમ લાગી ચૂકી છે. આશ્રમ એકસપ્રેસ, રાજધાની, દૂરંતો સહિતની પ્રિમીયમ ટ્રેનોમાં આ સિસ્ટમ લગાવવાનું કામ ચાલુ છે. રેલવે વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વેસ્ટર્ન રેલવેની રપથી વધુ ટ્રેનમાં આ સિસ્ટમ લાગી ચૂકી છે. ડિસેમ્બર સુધીમાં તમામ ફાસ્ટ પ્રીમિયમ ટ્રેનમાં જીપીએસ કાર્યરત થઇ જશે. જેનો સીધો ફાયદો પેસેન્જરોને ટ્રેનનું લોકેશન જાણવામાં થશે.

 

Previous articleવિઘ્નહર્તાનું રોબોટિક વાહન
Next article૧૮-૧૯ સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે, સરકાર લાવશે ૫ બિલ