હાર્દિકનું અલ્ટીમેટમ, ૩જી નવે. સુધીમાં પાટીદાર અનામત મામલે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે

665
guj29102017-13.jpg

તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કોગ્રેસના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીને ચુપચાપ મળીને નિકળી ગયેલા હાર્દિક પટેલે હવે કોંગ્રેસ સામે પણ બાયો ચઢાવી છે. હાર્દિક પટેલે આજે શનિવારના રોજ ટિ્‌વટ કરી કોંગ્રેસને તા. ૩ નવેમ્બર સુધીનો સમય આપતા ચિમકી આપી કે પાટીદારોને બંધારણની કઈ જોગવાઈ પ્રમાણે અનામત આપી શકો તે સ્પષ્ટ કરો નહીંતર સુરતમાં અમિત શાહ સાથે જે થયુ હતું તેવા માટે તૈયાર રહો.  
હાર્દિક પટેલના આ ટિ્‌વટ પછી કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. હાર્દિક કોંગ્રેસમાં આવી રહ્યો છે તેવુ કોંગ્રેસીઓ માની રહ્યા હતા, પણ હોટલ તાજમાં હાર્દિક અને રાહુલ વચ્ચે થયેલી બેઠકમાં હાર્દિકે ત્રણ માગણીઓ મુકી હતી જેમાં એક માગણી હતી કે કોંગ્રેસ પાટીદારોને અનામત આપવાની હા પાડે છે અને ભાજપે પણ હા પાડી અનામત આપી હતી પણ તે કોર્ટમાં ટકી શકે તેમ નથી. તો કોંગ્રેસ એવી કઈ જોગવાઈના આધારે અનામત આપશે  જેનો ખરેખર પાટીદારોને લાભ થશે.
હાર્દિક પટેલે આ અંગે રાહુલ ગાંધીને સમય આપી પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યુ હતું, પણ હવે આ મુદ્દે હાર્દિકે આકરૂ સ્ટેન્ડ લઈ તા ૩ નવેમ્બર સુધીની મહેતલ આપી દીધી છે અને જો ત્યાં સુધી નિર્ણય થાય નહીં તો અમિત શાહ સાથે સુરતમાં જે થયુ હતું તેવા માટે તૈયાર રહેવા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં અમિત શાહની સભામાં પાટીદારોએ ધમાલ કરી હતી અને શાહને પાંજરા પાછળથી ભાષણ કરવુ પડ્યુ હતું.
આ ઉપરાંત અમરેલીના પ્રવાસ દરમિયાન હાર્દિક પટેલે પોતાના સાથીઓ સાથેની વાતચીતમાં કહી દીધું છે કે જરૂર પડી તો તે પોતે પણ ઇલેક્શન લડવા માટે તૈયાર છે. તેણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તે ઇલેક્શન લડશે તો અપક્ષ ઉમેદવારી નોંધાવશે, પરંતુ ભૂલથી પણ કોઇ પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી નોંધાવે.
હાર્દિક પટેલે અનામત મુદ્દે સ્ટેન્ડ ક્લિયર કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જેના પર કોંગ્રેસે પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ૪૯ ટકા સિવાય બિન અનામત વર્ગને ૨૦ ટકા અનામત મળે તે માટે કોંગ્રેસ સરકાર તમામ પ્રયાસ કરશે.બિન અનામત વર્ગને લોકો માટે અમે વિધાનસભામાં  બિલ લાવીશું તેમ પણ કહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે આજે ટિ્‌વટ કરીને કોંગ્રેસને ૩ નવેમ્બરનું અલ્ટિમેટમ આપી પાટીદાર અનામત વિશે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું.

Previous articleઅલ્પેશ ઠાકોર આંદોલન કરવા ગયા હતા અને પાછા આવી ગયા : પરેશ ધાનાણી
Next articleગુજરાત ચૂંટણી : યોગી આદિત્યનાથ એક સપ્તાહ દ.ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે