શામળાજી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા

3103
gandhi6112017-1.jpg

યાત્રાધામ શામળાજી ખાતે કાર્તિકી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા.શામળાજી ખાતે શુક્રવારથી કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો હતો.હજારો ભક્તોએ  નાગધરાના કુંડમાં પવિત્ર સ્નાન કરી કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જયારે મોડાસા તાલુકાના ઈટાડી ગામે આવેલ અંબાજી મંદિરે પણ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મા જગદંબાના દર્શનાર્થે ઉમટી પડયા હતા. સુપ્રસિધ્ધ  યાત્રાધામ શામળાજી ખાતે ભરાતાં કાર્તિકી પૂનમના મેળામાં દૂરદૂરથી હજારોની સંખ્યામાં ભક્તો આ મેળામાં આવતાં હોય છે.મેળાના કાર્તિકી પૂનમના દિવસે ભગવાન શામળીયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડયા હતા.જયારે જિલ્લાભરમાંથી મોટીસંખ્યામાં લોકો પગપાળા સંઘો લઈ ને શામળાજી ખાતે પહોંચ્યા હતા.શનિવારના રોજ કાર્તિકી પૂનમ હોઈ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં હજારો શ્રધ્ધાળુઓએ  પવિત્ર  સ્નાન કર્યું હતું.ભક્તોએ શ્રીફળ પ્રસાદ ચઢાવી પોતાના આરાધ્ય દેવની માનતાઓ પૂરી કરી હતી. શામળાજી ખાતે ભરાયેલ મેળામાં ના બજારમાં લોકો હોંશેહોંશે ખરીદી કરતાં જોવા મળ્યા હતા.જયાં જુવો ત્યાં શામળાજીના દરેક માર્ગો ઉપર ભક્તોની ભીડ દેખાઈ હતી.જેને લઈ હાઈવે રોડ ઉપર ટ્રકોની લાંબી લાઈન લાગી હતી. અને કલાકો સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો. શામળાજી પોલીસ દ્વારા મેળાને લઈ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોે.જયારે મોડાસા તાલુકાના ઈટાડી ગામે પૂનમના મેળામાં જિલ્લાભરમાંથી ભક્તોનું ઘોડાપૂર મા જગદંબાના દર્શનાર્થે ઉમટી પડયું હતું.

Previous articleગુજરાતમાં ૬૮૭ ‘થર્ડ જેન્ડર’ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે
Next articleઉમેદવારોના નામ જાહેર થયા બાદ રંગ જામશે : સત્તા વિરોધી લહેરની શક્યતા