૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થવાનું છે. ત્યારે દેશને એક કરવા માટે પોતાના રજવાડા આપી દેનાર રાજાઓનું સન્માન કરવાની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ માગ કરી છે. શંકરસિંહે આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે સરદારની પ્રતિમા દેશની એકતાનું પ્રતીક બનશે. ત્યારે આ સમયે ૫૬૨ રજવાડાઓના પ્રતિનિધિઓને પણ હાજર રાખવા જોઈએ. લોકાર્પણના કાર્યક્રમ અંગે આમંત્રણ આપવામાં હવે મોડું થઈ ગયું છે. જેથી આ રજવાડાઓના પ્રતિનિધિઓને દિલ્હી બોલાવવામાં આવે અને તેમના પૂર્વજોના બલિદાન બદલ તેમનું સન્માન કરવામાં આવે. તેવી માગ શંકરસિંહ વાઘેલાએ કરી છે. સાથે જ પોતાના રજવાડાઓ આપી દેનારા રાજાઓના બલિદાન પાછળ એક સંગ્રહાલય બનાવવાની પણ શંકરસિંહે માગ કરી છે.